વરસાદની નુકસાનના પેકેજમાં ઝાલાવાડની બાદબાકીથી ખેડૂતોનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ
ખેડુતોને સર્વેમાં અન્યાય થયાનો આક્ષેપ
સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ વિરોધ કરીને હેકટર દીઠ ૫૦ હજાર સહાય આપવાની માંગણી કરી : ખેડૂતોને બે વખત વાવેતર કરવાની નોબતથી વ્યાપક નુકસાન
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન વરસાદ અનિયમીત રહેતા ખેડુતોને મોટાપાયે નુકશાન થયું છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા ઝાલાવાડના ખેડુતોને સહાયમાં બાદબાકી કરતા ખેડુતો દ્વારા આપના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો જેમાં કેટલાક ખેડુતોએ અર્ધનગ્ન થઈ ને વિરોધ પ્રદર્શન કર્યું હતું
ગત ચામોસામાં સુરેન્દ્રનગર જિલ્લામા શરૂઆતના એક રાઉન્ડ પછી વરસાદ સતત બે મહીના ખેંચાયો છે ખેડુતોએ કરેલુ વાવેતર બળી ગયુ હતું અને મોટુ નુકશાન વેઠવુ પડયું હતુ. પરંતુ આ વખતે પણ પાછોતરો ભારે વરસાદ થયો હતો અને બીજીવાર કરેલુ વાવેતર ધોવાઈ ગયુ હતુ આમ બે-બેવારના વાવેતર પછી ખરીફપાક ઓછો થતા ખેડુતોને ભારે નુકશાન વેઠવુ પડેલ હોવાનુ જાણવા મળે છે કેટલાક નાના ખેડુતોએ તો તગડા વ્યાજે નાણા ઉછીના લઈને બીજીવારનુ વાવેતર કર્યું હતુ.
રાજ્ય સરકારે ચોમાસામાં ખેડુતોને થયેલા નુકશાનનો સરકારી સર્વે કરાવ્યો હતો અને ૩૩ ટકા કે વધુ નુકશાન થયુ હોય તેવા ૯ જિલ્લાના ૩૫ તાલુકાના ખેડુતો માટે જ હેકટરે ૬૮૦૦ની સામાન્ય સહાય આપવાનુ પેકેજ જાહેર કર્યું હતું. સુરેનદ્રનગર જિલ્લાના ખેડુતોને થયેલ નુકશાનનો સર્વે ખોટો થતા જિલ્લાના ખેડુતોને સહાયનો લાભ મળ્યો ન હોવાનું ખેડુતો માને છે. દિલ્હી જેવા કેન્દ્રશાસીત પ્રદેશમાં ખેડુતોને હેકટર દીઠ રૂા.૫૦,૦૦૦ની સહાય જાહેર કરી છે ે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તરગુજરાત અને મધ્યગુજરાતને સંપુર્ણ રીતે નુકશાનગ્રસ્ત જાહેર કરીને હેકટરદીઠ રૂા.૫૦,૦૦૦ ની સહાય ચુકવવા ખેડુતોમાંથી માંગણી ઉઠેલ છે આ બાબતે આમ આદમી પાર્ટી કિસાન સંગઠ્ઠન દ્વારા સુરેનદ્રનગરમાં આબેડકર ચોકથી જિલ્લા પંચાયત સુધી પદયાત્રા યોજીને ખેતીવાડી અધિકારી મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને ખેડુતોને પાક નુકશાની બદલ સહાય આપીને ન્યાય કરવાની માંગ કરવામા આવેલ છે.