દૂધરેજ વડવાળા મંદિર નૂતન વર્ષ નિમિત્તે રોશનીથી શણગારવામાં આવ્યું
- રાજ્યભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટશે
- અન્નકૂટ, ગોવર્ધન પૂજા, તુલસી વિવાહ સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા
સુરેન્દ્રનગર : દિવાળીનો તહેવાર એટલે આનંદ અને ઉજાસ સાથે પ્રકાશનું પર્વ. આ પર્વ પર વર્ષોથી પરંપરાગત રીતે લોકો દીવડાઓ પ્રગટાવે છે તેમજ જાહેર અને ધાર્મીક સ્થળોને દિવાળી પર ભવ્ય રોશનીથી શણગારવામાં આવે છે. ત્યારે શહેરના દૂધરેજ ખાતે આવેલા વડવાળા મંદિરને પણ ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે.
શહેરના દૂધરેજ ખાતે આવેલા વડવાળા મંદિર સમસ્ત રબારી સમાજમાં શ્રધ્ધાનું સ્થાન ધરાવે છે અને ગુરૂગાદી તરીકે રબારી સમાજ તેને માને છે. ત્યારે દર વર્ષે દિવાળીના તહેવાર પર દુધરેજ વડવાળા મંદિર ખાતે અન્નકુટ, પુજા, આરતી, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે. જેમાં માત્ર ગુજરાત જ નહિં પરંતુ દેશ-વિદેશથી લોકો મોટીસંખ્યામાં દિવાળીના તહેવાર પર અહિં દર્શનાર્થે આવી ધન્યતા અનુભવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અન્નકુટ, ગોવર્ધન પુજા, તુલસી વિવાહ સહિતના કાર્યક્રમોમાં પણ મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. સવારથી જ દુુધરેજ વડવાળા મંદિર ખાતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને મંદિરના ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામબાપુ તેમજ કોઠારી મુકુંદરામ બાપુના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવશે. માત્ર સુરેન્દ્રનગર જ નહિ પરંતુ મહેસાણા, રાજકોટ, વડોદરા, આણંદ, અમદાવાદ સહિતના જીલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડશે.