સુરેન્દ્રનગર પાલિકામાં ૨૧ ચેરમેનોના વહેલા રાજીનામા લેવાતા નારાજગી
- 20 દિવસનો સમય બાકી હોવા છતાં
- નવા હોદ્દેદારોની વરણી બાદ અગાઉની ટર્મના ચેરમેને રાજીનામુ આપવું પડતું હોવાનો પક્ષનો દાવો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં તાજેતરમાં જ પ્રમુખ, ઉપ-પ્રમુખ સહિતનાઓની અઢી વર્ષની ટર્મ પુરી થતાં નવા પ્રમુખ, ઉપ-પ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી છે. તેમજ આગામી નવા ચેરમેનોની નિમણુંકની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તે પહેલા જ ૨૧ જેટલા ચેરમેનોએ રાજીનામા આપી દેતાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. જો કે પક્ષની સુચના મુજબ આ કાર્યવાહી થઈ હોવાનું હોદ્દેદારોએ જણાવ્યું હતું.
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં પ્રમુખ અને ઉપ-પ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સર્વાનુમત્તે પ્રમુખ તરીકે જીજ્ઞાાબેન પંડયા, ઉપ-પ્રમુખ પંકજભાઈ પરમાર તેમજ કારોબારી ચેરમેન તરીકે જીતેન્દ્રસિંહ ચાવડાની વરણી કરવામાં આવી હતી. નવા હોદ્દેદરોની વરણી બાદ નવી ટર્મ માટે નવા ચેરમેનોની પણ વરણી કરવામાં આવતી હોય છે. જ્યારે મળતી વિગતો મુજબ અગાઉની ટર્મના ચેરમેનોની મુદ્દત પુરી થવામાં હજુ ૨૦ દિવસ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ પક્ષ દ્વારા જુના ચેરમેનોના રાજીનામા માંગી લેતા ચર્ચાઓ વહેતી થઈ હતી અને વહેલા રાજીનામા માંગતા ક્યાંક ને ક્યાંક ચેરમેનોમાં પણ નારાજગી જોવા મળી હતી.
જ્યરે આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ નવા હોદ્દેદારોની વરણી બાદ અગાઉની ટર્મના ચેરમેનને રાજીનામું આપવું પડતું હોય છે. આથી પ્રદેશ ભાજપની સુચના મુજબ તમામ ૨૧ ચેરમેનોએ સ્વૈચ્છિક રાજીનામા આપ્યા હોવાની માહિતી આપી હતી.