ફાયરસેફ્ટીના સાધનો વિના ફટાકડા વેચતા બે સ્ટોલધારકો સામે ફરિયાદ
- થાન હાઈસ્કૂલ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન
- બન્ને સ્ટોલધારકો વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ
સુરેન્દ્રનગર : થાન શહેરમાં ફાયરસેફ્ટીના નિયમોને નેવે મુકી ફટાકડાનું વેચાણ કરતા શખ્સો વિરૂધ્ધ થાન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ફાયરસેફ્ટીના સાધનો વગર ફટાકડાનું વેચાણ કરતા બે સ્ટોલધારકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રામાં વિકરાળ આગના બનાવ બાદ સફાળા જાગેલા વહીવટી તંત્રએ ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરતા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેને લઇને થાન પોલીસ ટીમ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ ફટાકડાના સ્ટોલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં થાન હાઇસ્કુલ વિસ્તારમાં આવેલા ફટાકડાના સ્ટોલમાં તપાસ કરતા ફટાકડાના બે સ્ટોલમાં ફાયર સેફ્ટીના સાધનો વગર જ ફટાકડાનું વેચાણ કરવામાં આવતુ હોવાનું ધ્યાને આવતા ફટાકડાના સ્ટોલના માલિક અનિલભાઇ બચુભાઇ ઉઘરેજિયા અને કૈલાશભાઇ અમૃતભાઇ ચૌહાણ વિરૂધ્ધ થાન પોલીસ મથકે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.