ચોટીલાના પાંચવડા ગામે સગીરાનો ફાંસો ખાઈ આપઘાત

Updated: May 26th, 2024


Google NewsGoogle News
ચોટીલાના પાંચવડા ગામે સગીરાનો ફાંસો ખાઈ આપઘાત 1 - image


- માતાના આડસબંધે દીકરીનો જીવ લીધો

- માતા અને તેના પ્રેમીએ માર મારી ધમકી આપતા સગીરાને લાગી આવ્યું  

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના પાંચવડા ગામે માતાના આડા સબંધની જાણ સગીર પુત્રીને થઈ જતા માતાએ પુત્રીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી લાગી આવતા સગીરાએ ફાંસો ખાઈ  આપઘાત કર્યો હતો. જે મામલે માતા અને તેના પ્રેમી સામે ચોટીલા પોલીસ મથકે આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો છે. 

પાંચવડા ગામે પરિવાર સાથે રહેતા ફરિયાદી ભાવેશભાઈ વિનોદભાઈ મેટાળીયાના કાકી ભાવુબેન છનાભાઈ મેટાળીયાને છેલ્લા ઘણા વર્ષોથી ગામમાં જ રહેતા જેસાભાઈ ઉર્ફે ડકો અરજણભાઈ મેટાળીયા સાથે આડા સબંધ છે. જેની જાણ ભાવુબેનની સગીર દીકરી હેતલબેન ઉર્ફે મીત્તલબેનને થઈ જતા માતા અને પ્રેમીએ આડા સબંધની વાત નહીં કરવાનું જણાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 તેમજ સગીરાએ માતાને આપેલો મોબાઈલ લઈને પોતાના ભાઈને આપી દેતા માતાએ સગીરાને માર મારી ગળુ દબાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાબતનું સગીર પુત્રીને લાગી આવતા ઓરડીમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

 જે મામલે ભાવેશભાઈએ ચોટીલા પોલીસ મથકે ભાવુબેન અને જેસાભાઈ ઉર્ફે ડકો સામે સગીરાને મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News