રીડપુરા નજીક ફોરવ્હિલરની અડફેટે બાઈક સવાર પત્નીનું મોત

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
રીડપુરા નજીક ફોરવ્હિલરની અડફેટે બાઈક સવાર પત્નીનું મોત 1 - image


- ઈજાગ્રસ્ત પતિ-પુત્રને હોસ્પિટલ ખસેડાયા 

- સરોડા ભાથીજીના મંદિરેથી દર્શન કરી સાથળ પરત ફરતી વખતે અકસ્માત નડયો, ફરાર ચાલક સામે કાર્યવાહી કરાઈ

બગોદરા : સરોડા ભાથીજીના મંદિરેથી દર્શન કરી મોટરસાયકલ પર સાથળ પરત ફરી રહેલા દંપતી અને તેમના પુત્રને સરોડા-રીડપુરા વચ્ચે ફોરવ્હિલ ચાલકે અડફેટે લેતાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પિતા-પુત્રને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે ધોળકા રૂરલ પોલીસે ફરાર અજાણ્યા ફોરવ્હિલના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ધોળકા તાલુકાના સાથળ ગામમાં રહેતા કેશાભાઈ બબાભાઈ ઠાકોર, તેમના પત્ની મંજુલાબેન અને પુત્ર કિરણ મોટર સાયકલ લઈને સરોડા ભાથીજીનાં  મંદિરે ગયા હતા. ત્યાં દર્શન કરી પરત સાથળ આવી રહ્યાં હતાં, ત્યારે સરોડા અને રીડપુરા ગામ વચ્ચે પાછળથી આવતી એક ફોરવ્હિલના ચાલકે મોટરસાયકલને ટક્કર મારી અકસ્માત સર્જી નાસી છૂટયો હતો.

આ અકસ્માતની જાણ સ્થાનિક લોકોએ ૧૦૮ને કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. ડોકટરે ત્રણેય ઇજાગ્રસ્તોને તપાસતા મંજુલાબેનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે કિરણભાઈને ગંભીર અને કેશાભાઈને સામાન્ય ઇજા પહોંચી હતી. 

ઘાયલોને સારવાર માટે ધોળકાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને મંજુલાબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે ધોળકા રૂરલ પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા ફોર વ્હીલ ગાડીનાં ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને પકડવા તજવીજ હાથ ધરી છે.


Google NewsGoogle News