વસ્તડીમાં પુલ ધરાશાઈ થતાં લોકો નદીમાંથી પસાર થવા મજબૂર
- 500 વિદ્યાર્થીઓ શાળાએ ના જઈ શક્યા
- પાણીનો પ્રવાહ વધુ હોવાથી અકસ્માતનો ભય, શાળા સંચાલકો રજા જાહેર કરવા લાચાર
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ ધરાશયી થતાં ગ્રામજનોને હાલાકી વેઠવી પડી રહી છે. ગ્રામજનો જીવના જોખમે નદીમાંથી અવરજવર કરી રહ્યાં છે પરંતુ પુલ પરથી અવરજવર કરીને અપડાઉન કરતા ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ શાળાએ ના પહોંચી શકતા શાળામાં રજા જાહેર કરવી પડી હતી.
વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ ધરાશયી થયા બાદ સ્થાનિક ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. લોકો નદીમાંથી જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યાં છે. નદીમાં હાલ વરસાદના કારણે પાણીનો પ્રવાહ પણ ધસમસતો હોવાથી દુર્ધટના સર્જાવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
જ્યારે બીજી બાજુ આ પુલ પરથી અનેક વિદ્યાર્થીઓ વસ્તડીમાં આવેલી સ્વામીનારાયણ સ્કુલમાં અભ્યાસ અર્થે આવતાં હતાં પરંતુ પુલ ધરાશયી થઈ જતાં વસ્તડી અને ચુડા ગામનાં અંદાજે ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી શક્યા નહોતા. આથી શાળામાં પણ રજા જાહેર કરવામાં આવી હતી. જે મામલે શાળાના સંચાલક બળદેવભાઈ સિંઘવે સ્કુલમાં રજા મામલે તંત્ર તેમજ શિક્ષણ વિભાગની સુચના મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.