ધ્રાંગધ્રાના રાજકમલ ચોકમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ
- દિન-દહાડે બનેલી ઘટનાથી ચકચાર
- અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને બે શખ્સોએ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તારણ : બન્નેની શોધખોળ હાથ ધરાઈ
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં રાજમકલ ચોકમાં દિન દહાડે ૧૯ વર્ષીય યુવકને છરીના ઘા ઝીંકી દેતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસને પ્રાથમિક તપાસમાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને બે શખ્સોએ યુવક પર હુમલો કર્યાનું ખુલ્યું છે. પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરીને હુમલો કરનાર બન્ને યુવકોને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રા શહેરની મધ્યમાં બજાર વિસ્તારમાં આવેલા રાજકલમ ચોકમાં ધ્રાંગધ્રાના જુની માનમહેલાત સામે રહેતો યુવક મહંમદકૈફ રમજાનભાઈ કુરેશી (ઉં.વ.૧૯) કોઈ કામ અર્થે ગયો હતો. તે દરમિયાન અંદાજે બે જેટલા શખ્સોએ આવી બોલાચાલી કરી હતી અને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બન્ને શખ્સોએ છરીના ઘા ઝીંકી મહંમદકૈફની હત્યા નિપજાવી નાસી છુટયા હતા.
જ્યારે દિન-દહાડે હત્યાના બનાવથી આસપાસના દુકાનદારો અને વેપારીઓના ટોળેટોળાં ઉમટી પડયાં હતાં. આ મામલે પોલીસને જાણ કરતાં ધ્રાંગધ્રા ડી.વાય.એસ.પી. જે.ડી.પુરોહિત, પી.આઈ., પી.એસ.આઈ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકની લાશને પી.એમ. અર્થે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવકને થોડા દિવસો પહેલા પોતાના ઘર પાસે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી.
જે અંગેનું મનદુઃખ રાખી અફઝલ અને તોસીફ નામના યુવકોએ છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી નાસી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. દિન-દહાડે હત્યાનો બનાવ બનતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.