સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે ફૂડઝોન નામની દુકાનમાં આગ ભભૂકી
- વહેલી સવારે આગ લાગતા જાનહાનિ ટળી
- મિલેનીયમ પ્લાઝા કોમ્પલેક્સની દુકાનમાં લાગેલી આગને ચાર કલાકની જહેમત બાદ કાબુમાં લેવાઈ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર ઉપાસના સર્કલ પાસે આવેલી ફાસ્ટ ફૂડની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગણતરીની મીનીટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાસ્ટફૂડની દુકાન સહિત આસપાસની દુકાનોમાં નુકશાન પહોંચ્યું હતું. પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે મિલેનીયમ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી ફૂડ સ્ટેશન નામની ફાસ્ટફૂડની દુકાનમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. વહેલી સવારનો સમય હોવાથી વાહનચાલકો સહિતના લોકોની અવર-જવર નહિંવત હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આગે ગણતરીની મીનીટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસમાં આવેલી અન્ય બે થી ત્રણ ખાણીપીણીની દુકાનો સહિત મલ્ટીપ્લેક્ષને નુકશાન પહોંચ્યું હતું.
ફાસ્ટફૂડની દુકાનમાં રહેલો તમામ મુદ્દામાલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે આ અંગે લોકોએ પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને અંદાજે ચાર કલાકની ભારે જહેમત બાદ પાણીનો મારી ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. વિકરાળ આગના ધુમાડાના ગોટેગોટા ઉડતા લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડયા હતા.
હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે પરંતુ શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે. તેમજ ફાસ્ટ ફુડની દુકાન સહિત આસપાસની દુકાનો મળી મોટાપાયે નુકશાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રાજકોટ ગેમઝોન જેવી દુર્ધટના સર્જાઈ હોત
મિલેનિયમ પ્લાઝા કોમ્પલેક્ષમાં એક મલ્ટીપ્લેક્ષ સીનેમા, બેકરી, ખાણીપીણીની દુકાનો સહિતની દુકાનો આવેલી છે. જ્યાં સવારથી રાત સુધી વિદ્યાર્થીઓ, યુવાનો સહિતના શહેરીજનોની ભીડ રહેતી હોય છે. ત્યારે જો દિવસે આગ લાગી હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતાઓ રહેતી અને રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડ જેવી જ સ્થિતિ સર્જાતી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.