'શતકવીર' દિગ્ગજ બેટરને કેમ ODI ટીમથી બહાર કરાયો... આ છે તેના 3 મોટા કારણો

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
'શતકવીર' દિગ્ગજ બેટરને કેમ ODI ટીમથી બહાર કરાયો... આ છે તેના 3 મોટા કારણો 1 - image


Sanju Samson, India Tour Of Sri Lanka: શ્રીલંકા સામેની આગામી ODI અને T20 સીરિઝ માટે 18 જુલાઈના રોજ ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું હતું. T20 સીરિઝ સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમની કેપ્ટનશિપ કરશે. બીજી તરફ ODI સીરિઝમાં રોહિત શર્મા જ  કેપ્ટન રહેશે. T20 અને ODI બંને સીરિઝ માટે શુભમન ગિલને જ વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ચોંકાવનારી બાબત એ રહી છે કે, શ્રીલંકા સામે વન-ડે સીરિઝ માટે વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ટીમમાં સ્થાન નથી મળ્યું. જો કે સંજુને T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સંજુ સેમસને પોતાની છેલ્લી ODI મેચમાં દક્ષિણ આફ્રિકા જેવી ટીમ સામે સદી ફટકારી હતી. 21 ડિસેમ્બર 2023ના રોજ દક્ષિણ આફ્રિકા સામેની આ મેચ હાલમાં આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની છેલ્લી મેચ હતી. હવે વન-ડે સીરિઝમાં ટીમમાં તેની પસંદગી ન કરવી એ થોડો આશ્ચર્યજનક નિર્ણય રહ્યો છે. સંજુની ટીમમાં પસંદગી ન થવાના આ 3 મોટા કારણો હોઈ શકે છે.

સ્પિન ફ્રેન્ડલી પિચ પર સેમસન નથી ચાલતો!

29 વર્ષીય સંજુ સેમસન સ્પિન ફ્રેન્ડલી પિચો પર સંઘર્ષ કરે છે. શ્રીલંકા સામેની ત્રણેય વન-ડે મેચો કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમની પિચ ભૂતકાળમાં સ્પિનરો ખાસ કરીને લેગ-સ્પિનરોને માફક રહી હતી. શ્રીલંકાના લેગ સ્પિનર ​​વાનિન્દુ હસારંગાએ આ મેદાન પર સારું પ્રદર્શન કર્યું છે અને 10 વનડેમાં 17 વિકેટ લીધી છે. તે સેમસન સામે મોટો પડકાર ઉભો કરી શકે છે. હસારંગા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 3 વખત જમણા હાથના બેટ્સમેન સંજુને આઉટ કરી ચૂક્યો છે.

કેએલ રાહુલનો અનુભવ ભારે પડ્યો!

અનુભવી બેટ્સમેન કેએલ રાહુલની હાજરીમાં સંજુ સેમસન માટે ODI ટીમમાં સ્થાન મેળવવું હાલમાં મુશ્કેલ હતું. ODI ક્રિકેટમાં રાહુલનું તાજેતરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ ફોર્મેટમાં તેની સાતત્યતા પણ ખૂબ સ્પષ્ટ છે. રાહુલે 2023 ODI વર્લ્ડ કપમાં પણ શાનદાર બેટિંગ કરી હતી. તે વર્લ્ડ કપમાં રાહુલે 10 ઈનિંગ્સ રમી હતી અને 452 રન બનાવ્યા હતા. આ દરમિયાન રાહુલે 75.33ની એવરેજ અને 90.76ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને બે અડધી સદી સામેલ છે. તેનો હાઈએસ્ટ સ્કોર 102 રન હતો.

પંત લેફ્ટ-રાઈટ કોમ્બિનેશનનો વિકલ્પ આપે છે

ભારતીય સિલેક્ટર્સ હવે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેઓ 2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ઋષભ પંત જેવા ખેલાડીઓને તક આપવા માંગે છે. ઋષભ પંત લેફ્ટી બેટ્સમેન હોવાથી તે ટીમને લેફ્ટ-રાઈટ કોમ્બિનેશનનો વિકલ્પ પૂરો પાડે છે. આ સાથે જ તેની આક્રમક બેટિંગ અને વિકેટ કીપિંગની સ્કિલ પણ ટીમ માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે.

સંજુ સેમસનનું ઈન્ટરનેશનલ કરિયર

સંજુ સેમસનના ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં 16 ODI અને 28 T20 મેચ રમી ચુક્યો છે. વન-ડે ઈન્ટરનેશનલમાં સંજુના નામે 56.66ની એવરેજથી 510 રન છે. સંજુએ વન-ડે ઈન્ટરનેશનલમાં 1 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. જ્યારે T20 ઈન્ટરનેશનલમાં તેણે 21.14ની એવરેજથી 444 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદી સામેલ છે.

ભારતીય ટીમ 27 જુલાઈથી શ્રીલંકા પ્રવાસની શરૂઆત કરશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે. પ્રથમ ટી20 27મીએ, બીજી ટી20 28મીએ અને છેલ્લી ટી20 મેચ 30મી જુલાઈના રોજ રમાશે. આ તમામ મેચ પલ્લેકેલમાં ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યાથી રમાશે.

ત્યારબાદ બંને ટીમો વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝ રમાશે. પ્રથમ વનડે મેચ 2 ઓગસ્ટના રોજ રમાશે. ત્યારબાદ બાકીની બે ODI મેચો 4 અને 7 ઓગસ્ટે રમાશે. ત્રણેય ODI મેચો શ્રીલંકાની રાજધાની કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. 50-50 ઓવરની આ વન-ડે મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.


Google NewsGoogle News