વિનેશ ફોગાટ અપમાન અને પાશવી દમન સામેના જંગમાં પણ હારી, જ્યારે બૃજભૂષણ મસ્તીથી ફરે છે

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
Vinesh Phogat


Vinesh Phogat: વિનેશ ફોગાટને માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે ઓલિમ્પિકમા ગેરલાયક ઠરાવવામાં આવતા દેશભરમાં તેના માટે સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું છે. 

ચાહકોને શંકા

રમતના પ્રેમીઓએ ભારતની ગૌરવ સમાન વિનેશ ફોગાટ જોડે ભારતીય કુશ્તી સંઘ અને ભાજપ સરકારે કેવું અમાનવીય વર્તન છેલ્લા દોઢ વર્ષમાં કર્યું હતું તે યાદ કરીને એટલે સુધી શંકા વ્યક્ત કરી છે કે વિનેશ ફોગાટ સિલ્વર કે ગોલ્ડ મેડલ જીતે તો મોદી સરકાર જેનું ખુલ્લેઆમ સમર્થન કરતી આવી છે જેવા કુશ્તી સંઘના ભુતપૂર્વ અધ્યક્ષ અને સાંસદ બૃજભૂષણ શરણ સિંહને વિશ્વ સમક્ષ ભારે નાલેશીથી નીચે જોવું પડે તેવી વિનેશ ફોગાટની વજન બાબતની નબળાઈનો ફાયદો ઉઠાવીને કોઈ ગેરરીતી તો નથી આચરાઈને?

કોઈ ષડયંત્ર તો નથી ને- વિજેન્દર 

ભારતના ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલિસ્ટ ભૂતપૂર્વ બોક્સર વિજેન્દર સિંઘે આવી થિયરીને વેગ આપતા સનસની ખેજ નિવેદન આપ્યું છે કે વિનેશ ફોગાટનો ઓલિમ્પિકમાંથી એકડો કાઢી નાંખવાનું આ કોઈ ભાંગફોડ જેવું (સબોટેજ) કૃત્ય તો નથી ને.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં મેડલ કેમ ચૂકી ગઈ મીરાબાઈ ચાનુ ? પોતે જ જણાવ્યું કારણ

શા માટે ઉગ્ર રજુઆત નહીં ? 

સોશિયલ મીડિયા પર પણ રમતના ચાહકોએ શંકા વ્યક્ત કરી છે કે 100 ગ્રામ વજન વધુ હોય તે કારણે ખેલાડીની સ્પર્ધામાંથી જ હકાલપટ્ટી થોડી કરી દેવાય, શા માટે ભારતીય ઓલિમ્પિક સંઘે ભારે ઉગ્રતા સાથે પ્રોટેસ્ટ ન કર્યો. જો કે આ ષડયંત્રની થિયરીની શંકા ચાહકોની વિનેશ ફોગાટ નિશ્ચિત મેડલથી વંચિત રહી તેની હતાશાને લીધે વધુ હોય તેમ લાગે છે.

પોલીસનું પાશવી વર્તન 

ચાહકોએ ફરી ભગ્નહ્રદયે એ જરૂર યાદ કર્યું કે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક બજરંગ પુનીયા સહિતના પહેલવાનોએ ભારતીય કુસ્તી સંઘના તત્કાલિન અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ સામે જાતિય સતામણીના આરોપસર તેની સામે પોલીસ ફરિયાદ લેવામાં આવે અને તેને બરતરફ કરવાની માંગણી કરતા જે અનશન દિલ્હીના જંતરમંતર પર કર્યા હતા ત્યારે તેઓ જોડે પોલીસે અને ભાજપ સરકારે એ હદે પાશવી વર્તન કર્યું હતું કે તેઓને પોલીસ સ્ટેશને બળપૂર્વક ઢસડીને અને ઉચકીને લઈ જવાયા હતા.

કદાવર નેતા બૃજભૂષણ

ભાજપ સરકાર કુશ્તી સંઘના વડા બૃજભૂષણને છાવરી રહ્યા હતા તેનું કારણએ હતું કે બૃજભૂષણ છ વખત લોકસભાના સાંસદ તરીકે ભાજપની ટીકીટ પર ઉત્તર પ્રદેશના કેસરગંજ મત વિસ્તારમાંથી ચૂંટાઈ આવતા નેતા છે. તેના પરથી અંદાજ લગાવો કે આ ક્ષેત્રમાં તેનો કઈ હદનો એકચક્રી પ્રભાવ દોઢ દાયકાથી વધુ વર્ષોથી હશે.

આ પણ વાંચો: વિનેશ ફોગાટની રોમાંચક લવ સ્ટોરી, નોકરી પર પ્રેમ, એરપોર્ટ પર પ્રપોઝ અને રેસલર સાથે કર્યા લગ્ન

બૃજભૂષણનો ગુનાઈત ઈતિહાસ

બાબરી મસ્જિદન ધ્વંસ કરવાના તોફાની કૃત્યોમાં બૃજભૂષણની ધરપકડ થઈ હતી. દાઉદ ઈબ્રાહિમ -જોડેની સાંઠગાંઠની શંકાના દાયરામાં આવતા તેની ટાડા હેઠળ પણ ધરપકડ થઈ હતી. બૃજભૂષણ સામે 38 ફોજદારી કેસ ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે. ચોરી, લૂંટ, હત્યાના કેસ પણ તેમાં સામેલ છે.

બૃજભૂષણને છાવરવામાં આવતો હતો

જોકે બધા જાણે જ કે કમનસીબે કદાવર નેતા બનવા આવા કેસો ઘણી વખત લાયકાત પણ પૂરવાર થાય છે. પક્ષ તો ચૂંટણી જીતી શકે અને બીજા ઉમેદવારોને જીતાડી શકે તેવા નેતાને જ તેની પાંખમાં સમાવતો હોય છે અને તેને પીઠબળ પણ પુરૂ પાડતો હોય જ છે. બૃજભૂષણ તેના આવા પ્રભાવનો ભરપુર ઉપયોગ કરતો રહ્યો છે.

વિશ્વ મીડિયાનું ધ્યાન

આવા માથાભારે પોલીસ જ નહીં મોટા નેતાઓને પણ ગજવામાં લઈને ફરતા બૃજભૂષણ સામે વિનેશ ફોગટ, સાક્ષી મલિક, બજરંગ પુનીયા અને અન્ય કેટલાક કુશ્તીબાજો તેમની ઈજ્જત અને સન્માન બચાવવા જંગે ચઢ્યા હતા. બૃજભૂષણ હવે ખુલ્લો પડી ગયો હતો. ભારતના જ નહીં વિશ્વ મીડિયાનું ધ્યાન આ ઘટના તરફ ગયું હતું. 

આ પણ વાંચો: રેસલિંગમાંથી નિવૃતિ લીધી પણ કોઈપણ મહિલા એથલિટ માટે વિનેશ ફોગાટનો આ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય

પોલીસ ફરિયાદ જ નહોતી લેતી

વિનેશ અને અન્ય કુશ્તીબાજોએ બૃજભૂષણ સામે જે રીતે જલદ આંદોલન છેડ્યું અને મીડિયા સમક્ષ જાતીય સતામણીના આરોપ મુક્યા તેનાથી તેની પ્રતિભા ખરડાઈ આ કદાવર નેતા સામે મહિલા પહેલવાનો પોતે જ જાતીય સતામણીનો શિકાર બન્યા છે તેમ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરવા ગયા તો તેઓની ફરિયાદ જ નહોતી લેવાતી.

આખરે પગલા લેવાયા

આખરે જ્યારે આંદોલને વેગ પકડ્યો અને 'બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન'નું સૂત્ર ધરાવતી ભાજપ સરકારને બૃજભૂષણ પર પગલા લેવાની ફરજ પડી હતી. પોલીસે નામ પૂરતી ફરિયાદ લીધી અને વિવાદ ઘણો જ વકરી ચૂક્યો હતો ત્યારે બૃજભૂષણને કુશ્તી સંધના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવું પડયું હતું.

આ પણ વાંચો: IPL નહીં આ રીતે ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓની થાય છે પસંદગી, રોહિત શર્માએ જણાવી 'પ્રોસેસ'

પહેલવાનોની ક્રુર મજાક

વિનેશ ફોગાટ અને મહિલા કુશ્તીબાજોની વધુ ક્રુર મજાક તો ત્યારે થઈ કે જયારે કુશ્તી સંઘના અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યા પછી તેણે તેના જ પ્યાદા સમાન સંજય સિંધને અધ્યક્ષ તરીકે બીનહરિફ નિયુક્ત કર્યો. વિનેશ ફોગાટ અને આંદોલનકારો માત્ર બૃજભૂષણના કુશ્તીસંઘમાંથી રાજીનામાથી સંતુષ્ટ નહોતા તેઓની લડત બૃજભૂષણ સામે ફોજદારી કાર્યવાહી થાય તે માટે હતી પણ તેમાં તેઓ સફળ નથી થયા.

વિનેશ ફોગાટ અપમાન અને પાશવી દમન સામેના જંગમાં પણ હારી, જ્યારે બૃજભૂષણ મસ્તીથી ફરે છે 2 - image


Google NewsGoogle News