શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયાની હાર માટે આ 4 ખેલાડી જવાબદાર! ખરાબ પ્રદર્શનથી નાક કપાવ્યું

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયાની હાર માટે આ 4 ખેલાડી જવાબદાર! ખરાબ પ્રદર્શનથી નાક કપાવ્યું 1 - image


Image Source: Twitter

India vs Sri Lanka: શ્રીલંકા સામે બીજી વન ડેમાં બેટ્સમેનોના નાટકીય ધબડકા બાદ ભારતનો 32 રનથી કારમો પરાજય થયો હતો. કોલંબોમાં રમાયેલી બીજી વન ડેમાં શ્રીલંકાએ ભારતને 32 રનથી હરાવીને સિરીઝમાં 1-0ની અજેય લીડ હાંસલ કરી છે. બન્ને ટીમો વચ્ચેની પ્રથમ વન ડે મેચ ટાઇ રહી હતી. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 9 વિકેટ પર 240 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમ 42.2 ઓવરમાં 208 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. હેડ કોચ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ ભારતીય ટીમે પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ 3 T20 મેચોની સિરીઝમાં 3-0થી જીત હાંસલ કરી હતી અને ત્યારબાદ પ્રથમ વન ડે ટાઇ રહી હતી. આ મેચમાં ભારતીય બેટ્સમેન સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા.

બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન

આ જીતથી શ્રીલંકાની ટીમનું મનોબળ ઘણું વધી ગયું હશે. બીજી તરફ ભારતીય બેટ્સમેનોએ સતત બીજી મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. રોહિત શર્મા અને અક્ષર પટેલ સિવાય તમામે નિરાશ કર્યા હતા. શુભમન ગિલે ભલે કેટલાંક શાનદાર શોટ ફટકાર્યા હોય પરંતુ તે સારી શરુઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો નહીં. અહીં અમે તમને હાર માટે કયા 4 મોટા ખેલાડી જવાબદાર છે તે અંગે બતાવીશું.

શિવમ દૂબે

શિવમ દૂબેએ છેલ્લી મેચમાં શાનદાર બેટિંગ કરી હતી પરંતુ તે મેચને પૂરી નહોતો કરી શક્યો. દૂબે 24 બોલમાં 25 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ટીમ ઇન્ડિયા છેલ્લી મેચમાં 14 બોલમાં 1 રન નહોતી બનાવી શકી. આ કારણોસર શિવમ દૂબેની ખૂબ ટીકા થઈ હતી. તેણે આ મેચમાં ખૂબ નિરાશ કર્યા હતા. તે હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ઓલરાઉન્ડરની ભૂમિકામાં રમી રહ્યો છે પરંતુ તે મોકાનો ફાયદો નથી ઉઠાવી રહ્યો. બીજી વન ડેમાં શિવમ દૂબે ખાતું નહોતું ખોલાવી શક્યો. તેને જેફરી વેન્ડેરસેએ એલબીડબલ્યુ કર્યો હતો. 

વિરાટ કોહલી

રોહિત શર્મા અને શુભમન ગીલે પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ અચાનક ટીમ ઇન્ડિયાનો સ્કોર 3 વિકેટ પર 116 રન થઈ ગયો. અહીંથી ટીમને જીત તરફ લઈ જવાની જવાબદારી વિરાટ કોહલી પર હતી પરંતુ તેણે ચાહકોને નિરાશ કર્યા. વિરાટ સાવધાનીપૂર્વક બેટિંગ કરી શક્યો ન હતો. તે 14 રન બનાવીને જેફરી વેન્ડેરસેના બોલ પર એલબીડબલ્યુ થઈ ગયો હતો. વિરાટ પહેલી મેચમાં પણ મોટી ઇનિંગ નહોતો રમી શક્યો. તે 24 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

શ્રેયસ અય્યર

લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયામાં વાપસી કરનાર શ્રેયસ અય્યર સતત બીજી મેચમાં નિષ્ફળ રહ્યો હતો. પ્રથમ મેચમાં માત્ર 23 રન બનાવનાર અય્યર આ મેચમાં માત્ર 7 રન જ બનાવી શક્યો હતો. અય્યર પણ વેન્ડેરસેનો શિકાર બન્યો હતો. તેણે ટીમ મેનેજમેન્ટ અને ચાહકોને ફરીથી નિરાશ કર્યા.

કેએલ રાહુલ

મિડલ ઓર્ડરમાં ટીમના મહત્ત્વના બેટ્સમેન કેએલ રાહુલે પણ નિરાશ કર્યા. તે ખાતું નહોતો ખોલાવી શક્યો. તે શૂન્યના સ્કોર પર વેન્ડેરસેના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. રાહુલ પ્રથમ મેચમાં 43 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં તેનું ખાતું પણ નહોતું ખુલ્યું. જો રાહુલ થોડો સમય ક્રિઝ પર રહ્યો હોત તો મેચ ભારતની તરફેણમાં ફેરવાઈ શકી હોત.


Google NewsGoogle News