વિનેશ ફોગાટનો મામલો હજુ શાંત નથી પડ્યો ત્યાં આ દિગ્ગજ ખેલાડી બન્યો 'રાજકારણ'નો શિકાર? લગાવ્યા ગંભીર આરોપ

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News

વિનેશ ફોગાટનો મામલો હજુ શાંત નથી પડ્યો ત્યાં આ દિગ્ગજ ખેલાડી બન્યો 'રાજકારણ'નો શિકાર? લગાવ્યા ગંભીર આરોપ 1 - image

Tennis Player Sasikumar Mukund : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય રેસલર વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાનો મામલો સતત ચર્ચામાં છે. આ દરમિયાન વધુ એક દિગ્ગજ ખેલાડીનું નામ ચર્ચામાં આવ્યું છે. ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી શશીકુમાર મુકુંદ તેના સસ્પેન્શનને લઈને ચર્ચામાં આવ્યા છે. શશીકુમાર મુકુંદે તેના સસ્પેન્શનને લઈને ઓલ ઇન્ડિયા ટેનિસ ઍસોસિયેશન (AITA) પર આરોપ લગાવ્યા છે.

શશીકુમારે એઆઇટીએ પર આરોપ લગાવ્યો છે કે, ઍએસોસિયેશને મને આ વર્ષની શરુઆતમાં આયોજિત ડેવિસ કપમાં ભાગ લેવાની મંજૂરી આપી નથી. ઍસોસિયેશને દાવો કર્યો હતો કે, મુકુંદે આ વર્ષની શરુઆતમાં પાકિસ્તાન સામે રમવાની ના પાડી દીધી હતી, જેના કારણે તેના પર 2 મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સામે મુકુંદે દાવો કર્યો હતો કે, ઍસોસિયેશને એવો પ્રતિબંધ લગાવ્યો હતો કે જેની કોઈને જાણ નહોતી.

આ પણ વાંચો: દ્રવિડ કરતાં એકદમ વિપરિત બેટિંગ સ્ટાઈલ છે દીકરાની, ધમાકેદાર છગ્ગો જોઈ કોમેન્ટેટરના હોશ ઊડ્યાં

ઍસોસિયેશને શશીકુમાર પર 2 મેચનો પ્રતિબંધ લગાવ્યો છે. શશીકુમાર મુકુંદ પર આરોપ છે, કે તેણે ત્રણ વખત રાષ્ટ્રીય ટીમ સાથે જવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેના પર 2 મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી તે મેચ રમવા માટે સ્વીડન જઈ શકશે નહીં. આ સિવાય જ્યારે પણ ટીમ આગામી પ્રવાસ કરશે ત્યારે પ્રતિબંધના કારણે શશીકુમારને તે મેચ માટેની ટીમમાં સામેલ કરવામાં આવશે નહીં.

શશીકુમાર મુકુંદે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, 'સંપૂર્ણપણે ખોટી માહિતી અને સંપૂર્ણ બકવાસ. મને કૅપ્ટન અને કોચ દ્વારા રમવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ મેં ન રમવાનું નક્કી કર્યું. કારણ કે મારી પાસે વિઝા નથી અને બીજું હું ખરાબ મેનેજમેન્ટને કારણે ત્યાં જવા માંગતો ન હતો. મને લાગે છે કે બીજા કારણથી કોઈના અહંકારને ઠેસ પહોંચી છે. અને તેણે મારા પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેની મારા સહિત કોઈને ખબર નહોતી. જો મારા પર પ્રતિબંધ હતો તો મને કેમ પૂછવામાં આવ્યું? મેં મારું નામ પ્રેસમાં જાહેર ન કરવાની વિનંતી કરી હતી અને એવું જ થયું. અને બીજું, મેં ક્યારેય સાંભળ્યું નથી કે કોઈ ખેલાડી પર મેચ ચૂકી જવાથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય. હું ઘાયલ થઈ શક્યો હોત અથવા તો બીજું કંઈ પણ થઈ શક્યું હોત. આચાર સંહિતા અથવા શિસ્ત એક કારણ હોઈ શકે છે. જો મને મેચ ચૂકી જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો ઘણાં અધિકારીઓ પર પણ આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે તેઓ દરેક મેચમાં સિંગલ માલ્ટ વ્હિસ્કી પર ખેલાડીઓના પૈસા ખર્ચે છે, અને આ માટે ખેલાડીઓના ઇનામની રકમની ચોરી કરે છે.'


Google NewsGoogle News