World Cup 2023: ભારત આ વખતે પણ જીતી શકે છે વર્લ્ડ કપ, આ છે 4 મુખ્ય કારણો

ભારતીય ટીમે અત્યાર સુધીમાં રમાયેલી તમામ મેચ જીતી છે

ભારત છેલ્લે ધોનીની કેપ્ટનશીપમાં વનડેમાં ચેમ્પિયન બન્યું હતું

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
World Cup 2023: ભારત આ વખતે પણ જીતી શકે છે વર્લ્ડ કપ, આ છે 4 મુખ્ય કારણો 1 - image


India possibility to win world cup 2023 : ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન યથાવત રાખતા ગઈકાલે શ્રીલંકા સામે રમાયેલી મેચમાં 302 રનથી ભવ્ય વિજય મેળવીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે ત્યારે હવે ભારતની વર્લ્ડ કપ 2023ની જીતવાની દાવેદારી પ્રબળ થઈ ગઈ છે આ રીતે ભારત ફરી એકવાર ચેમ્પિયન બની શકે છે.

આ વર્લ્ડ કપમાં ભારતની ટીમ હોટ ફેવરીટ છે

આ વર્લ્ડ કપમાં ભારતીની ટીમ ચેમ્પિયન બનવા માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે અને અત્યાર સુધી રમાયેલી મેચમાં પણ ટીમે ક્રિકેટ ફેન્સને નિરાશ ન કરતા તમામ સાત મેચ જીતીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી દીધી છે. ભારતની ટીમ છેલ્લે 2011માં ધોનીની કેપ્ટનશીપમાં વનડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી અને હવે ચાર વાત સૂચવે છે કે 12 વર્ષ બાદ ફરી એકવાર ટીમ એકપણ મેચ હાર્યા વગર જ વિશ્વ ચેમ્પિયન બની શકે છે.  

ટીમ પ્રેશર વગર રમી રહી છે

ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં સાત મેચ રમી છે જેમાં તમામ મેચમાં વિજય થયો છે તેનું મુખ્ય કારણ શ્રેષ્ઠ બેટિંગ લાઈન અપ અને ધારદાર બોલિંગ છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની મેચ બાદ કરતા તમામ મેચમાં કોઈપણ જાતના પ્રેશર વગર જ રમતા જોવા મળી છે. ભારતીય ટીમ પાકિસ્તાન, નેધરલેન્ડ્સ, શ્રીલંકા અને અફ્ઘાનિસ્તાન જેવી ટીમો સામે આસાનીથી જીતી ગઈ છે જે ટીમ માટે એક સારો સંકેત છે.  

રોહિત શર્માની કેપ્ટનશીપ

આ વર્લ્ડ કપમાં રોહિત શર્મા એવી રીતે જ કેપ્ટનશીપ કરી રહ્યો છે જે રીતે ધોની પોતાના કરિયર દરમિયાન કરતો હતો. કેટલાક લોકોએ વિશ્વકપમાં રોહિતને ધોની જેવો જ ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા ભારત માટે અત્યાર સુધીમાં 100 મેચમાં કેપ્ટનશીપ કરી છે જેમાં ભારતીય ટીમે 75 મેચ જીતી છે એટલે કે રોહિત શર્માની જીતની ટકાવારી 75% છે. રોહિત કેપ્ટનશીપ સાથે સાથે રન પણ બનાવી રહ્યો છે જેમાં તેણે અત્યાર સુધીમાં 402 રન બનાવી લીધા છે અને તે સૌથી વધુ રન કરવામાં પાંચમાં ક્રમે છે.

શાનદાર બેટિંગ-બોલિંગ યૂનિટ

ભારતીય ટીમ પાસે આ વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ-બોલિંગનું યૂનિટ છે. બેટિંગમાં રોહિત-કોહલી જેવા ખેલાડી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે તો સુર્યકુમાર, કે. એલ રાહુલ અને જાડેજા પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. બીજી તરફ બોલરમાં પણ સિરાજ, શમી, બુમરાહ તેમજ કુલદિપ યાદવે તમામ મેચમાં ધારદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી છે. શમીએ ત્રણ મેચમાં આગઝરતી બોલિંગ કરીને 14 વિકેટ પોતાના નામે કરી છે તો બુમરાહે અત્યાર સુધીમાં 15 અને સિરાજે 9 વિકેટ ઝડપી છે. ગઈકાલે બોલરના કહેરના કારણે શ્રીલંકાની ટીમ ફક્ત 55 રનમાં જ ઢેર થઈ હતી.

અલગ-અલગ ખેલાડીઓ મેચ વિનરની ભૂમિકા ભજવી 

આ વર્લ્ડ કપમાં એક ખાસ બાબત જોવા મળી છે જેમાં અત્યાર સુધીમાં રમાયેલી 7 મેચમાં અલગ-અલગ ખેલાડીઓએ મેચ વિનરની ભૂમિકા ભજવી છે. આઉટ ઓફ ફોર્મ શ્રેયસ અય્યરે શ્રીલંકા સામે જોરદાર બેટિંગ કરી હતી. આ ઉપરાંત જાડેજાની સારી ફિલ્ડિંગ એ શ્રેષ્ઠ પાસું તો છે જ પણ તેણે ન્યુઝીલેન્ડ સામે અને શ્રીલંકા સામે તોફાની બેટિંગ કરી હતી તો સુર્યકુમાર યાદવ, શમી જેવા ખેલાડીઓ પણ મેચ વિનરની ભૂમિકા ભજવી રહ્યા છે.


Google NewsGoogle News