માત્ર એન્જિન બદલાયું છે...: હાર્દિકની જગ્યાએ પોતે કેપ્ટન બન્યા પછી સૂર્યાએ તોડ્યું મૌન

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
માત્ર એન્જિન બદલાયું છે...: હાર્દિકની જગ્યાએ પોતે કેપ્ટન બન્યા પછી સૂર્યાએ તોડ્યું મૌન 1 - image


IND vs SL Cricket Series: ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને 3 ODI ક્રિકેટ મેચોની સીરિઝ આજથી શરૂ થવા જઈ રહી છે. T20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે જ્યારે વનડે સીરિઝમાં ટીમની કમાન રોહિત શર્માના હાથમાં જ રહેશે. T20 ક્રિકેટ ટીમનો કેપ્ટન બન્યા બાદ પ્રથમ વખત સૂર્યકુમાર યાદવે મૌન તોડ્યું છે અને પ્રેસ કોન્ફરન્સમાં તેમને પૂછવામાં આવેલા તમામ સવાલોના જવાબ આપ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવે હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વિશે પણ વાતચીત કરી હતી.

હાર્દિક અંગે સૂર્યકુમાર યાદવ શું બોલ્યો

ટીમના કેપ્ટન તરીકે ચૂંટાયા બાદ સૂર્યકુમાર યાદવે આજે પ્રથમ વખત મૌન તોડ્યું છે. તેણે શ્રીલંકા સામેની T20 ક્રિકેટ સીરિઝની શરૂઆત થતાં પહેલા પત્રકારો સાથે વાતચીત કરતી વખતે તમામ સવાલોના જવાબ આપ્યા હતા. હાર્દિક પંડ્યા અંગે સૂર્યકુમાર યાદવે કહ્યું કે મને આશા છે કે તે શ્રીલંકા સામેની સીરિઝમાં T20 વર્લ્ડ કપનું પોતાનું ફોર્મ જારી રાખશે. હાર્દિક પંડ્યાની ભૂમિકા હંમેશા એક જેવી જ રહી છે. તે ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે અને જે રીતે તેણે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે મને આશા છે કે તે ભવિષ્યમાં પણ આવું જ પ્રદર્શન કરતો રહેશે.

માત્ર એન્જિન બદલાયું છે

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન અને સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન અંગેના સવાલ પર સૂર્યકુમાર યાદવે કહ્યું કે જ્યાં સુધી ભારતીય ટીમના આક્રમક વલણની વાત છે તો તેમાં કોઈ પણ બદલાવ નહીં થશે. ટ્રેન આગળ વધશે, માત્ર એન્જિન બદલાયું છે અને બોગીઓ એ જ છે. કંઈ બદલાયું નથી, ક્રિકેટની બ્રાન્ડ એ જ છે. કેપ્ટનશીપથી કંઈ બદલાતું નથી, મને માત્ર એક વધારાની જવાબદારી મળી છે. હું રોહિત પાસેથી જે શીખ્યો છું તે એ છે કે તે હંમેશા મેદાન પર અને મેદાનની બહાર લીડર રહ્યો છે, તે માત્ર એક કેપ્ટન નહોતો. બંનેમાં ઘણું અંતર છે. T20 ક્રિકેટ કેવી રીતે રમવું અને ટૂર્નામેન્ટ કેવી રીતે જીતવી? આ જ મેં તેની પાસેથી શીખ્યો છું.

રોહિત, વિરાટ અને જાડેજાની જગ્યા લેવી મુશ્કેલ

સૂર્યકુમાર યાદવે કહ્યું કે અમારા ત્રણ મોટા ખેલાડીઓ (રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા) ક્રિકેટના આ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે અને તેમની જગ્યા લેવી મુશ્કેલ છે. પરંતુ નવા ખેલાડીઓએ ચોક્કસપણે ઘણી પ્રેક્ટિસ કરી છે અને તેઓ પહેલાથી જ ફ્રેન્ચાઈઝી માટે સારી T20 ક્રિકેટ રમતા આવ્યા છે. મને તેમના પર પૂરો વિશ્વાસ છે કે તેઓ સારું પ્રદર્શન કરશે. આ સીરિઝમાં રિયાન પરાગ અને રિંકુ સિંહ જેવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરશે. 

ગંભીર સાથે ખાસ સબંધ 

ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને કહ્યું કે અમારો સંબંધ હંમેશા ખાસ રહ્યો છે. અમે ઘણી વાતો કરી છે. અમે બંને અમારી બોડી લેંગ્વેજ પરથી જ સમજી જઈએ છીએ કે અમે શું કહેવા માંગીએ છીએ. ક્યારેક-ક્યારેક કંઈ પણ બોલ્યા વિના પણ અમે સમજી જઈએ છીએ કે, અમારામાંથી દરેક વ્યક્તિ શું કહેવા માગે છે. 


Google NewsGoogle News