Asia cup 2023 : બાંગ્લાદેશ સામે 11 વર્ષ બાદ શુભમન અને સચિન વચ્ચે જોવા મળ્યો આ વિચિત્ર સંયોગ
ભારતે બાંગ્લાદેશ સામેની મેચમાં બેંચ સ્ટ્રેન્થ ચકાસવા માટે પાંચ એક્સપેરિમેંટ કર્યા હતા
એશિયા કપ 2023ની ફાઈનલમાં આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર થશે
Image:Twitter |
એશિયા કપ 2023ના સુપર-4માં ભારતીય ટીમને બાંગ્લાદેશ સામે 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોલંબોમાં 266 રનનો પીછો કરતા ભારતીય ટીમ 259 રન પર સમેટાઈ ગઈ હતી. એક સમય એવું લાગી રહ્યું હતું કે ભારત જીત તરફ વધી રહ્યું છે પરંતુ અંતિમ 2 ઓવરમાં પાસા પલટી ગયા હતા. શુભમન ગિલે બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારી હતી. તેણે 133 બોલમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 121 રન બનાવ્યા હતા. ભારતની હાર સાથે ગિલ અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિત તેંડુલકર વચ્ચે 11 વર્ષ બાદ એક વિચિત્ર સંયોગ જોવા મળ્યો છે.
એશિયા કપના ઈતિહાસમાં બાંગ્લાદેશ ભારત સામે માત્ર બે મેચ જીત્યું
ભારતીય ટીમનો ઓપનર શુભમન ગિલ એશિયા કપમાં બાંગ્લાદેશ સામે મળેલી હારમાં સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ગિલ પહેલા આવું માત્ર સચિન તેંડુલકર સાથે થયું હતું. સચિને એશિયા કપ 2012 દરમિયાન બાંગ્લાદેશ સામે 147 બોલમાં 114 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સદી દરમિયાન સચિને 12 ચોગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ મેચ મીરપુરમાં રમાઈ હતી અને ભારતને 4 બોલ બાકી રહેતા 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. અહિયાં રસપ્રદ વાત એ છે કે એશિયા કપના ઈતિહાસમાં બાંગ્લાદેશ ભારત સામે આ બે મેચ જ જીત્યું છે.
ભારતે બેંચ સ્ટ્રેન્થ ચકાસવા માટે પાંચ એક્સપેરિમેંટ કર્યા હતા
એશિયા કપ 2023માં ભારતે બાંગ્લાદેશ સામેની મેચમાં બેંચ સ્ટ્રેન્થ ચકાસવા માટે પાંચ એક્સપેરિમેંટ કર્યા હતા. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવને આરામ આપવાનો ભારતીય ટીમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. એશિયા કપમાં ડેબ્યૂ કરનાર તિલક વર્મા (5) અને ઇશાન કિશન (5) કંઈ ખાસ કમાલ કરી શક્ય ન હતા. બીજી તરફ સુર્યકુમાર યાદવ (27) અને કે.એલ રાહુલ (13) પણ સસ્તામાં આઉટ થઇ ગયા હતા. જો કે ભારતને બાંગ્લાદેશ સામે મળેલી હારથી કઈ નુકસાન નથી થયો કારણે કે તે પહેલા જ ફાઈનલમાં પહોંચી ગયું છે. આવતીકાલે એશિયા કપ 2023ની ફાઈનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર થશે.