ગૌતમ ગંભીરને શ્રીસંતે આપ્યો જવાબ, કહ્યું- 'ધોનીએ નહોતું કર્યું બેટિંગ પોઝિશનનું બલિદાન'
Image Source: Facebook
નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર 2023 શુક્રવાર
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર એમએસ ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ભારતને ત્રણ આઈસીસી ખિતાબ જીતાવ્યા છે. ધોનીની કેપ્ટનશિપમાં ભારતે 2007 ટી20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફીના ખિતાબ જીત્યા છે. 2007 ટી20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ ગૌતમ ગંભીર પણ રહ્યા હતા. ગૌતમ ગંભીરે તાજેતરમાં એમએસ ધોની અંગે અમુક વાતો કહી હતી, જેને સાંભળીને ચાહકો પણ થોડા ચોંકી ગયા હતા. ધોનીના વખાણ કરવાના મામલે ગંભીર થોડા કંજૂસ રહ્યા છે અને એવામાં તેમના મોઢેથી ધોનીના વખાણ સાંભળીને લોકો ચોંકી જ જાય છે. તાજેતરમાં જ ગંભીરે કહ્યુ હતુ કે ધોની જો નંબર-3 પર બેટિંગ કરવાનું ચાલુ રાખે તો તે ખૂબ વધુ રન બનાવી શકત પરંતુ તેમણે પોતાની બેટિંગ પોઝિશનનું બલિદાન કર્યુ અને ટીમના હિતને ઉપર રાખ્યુ. જેની પર શ્રીસંતે જવાબ આપ્યો અને કહ્યુ કે ધોનીએ ક્યારેય બેટિંગ પોઝિશનને લઈને બલિદાન કર્યું જ નથી.
શ્રીસંતે કહ્યુ, ગૌતમ ભાઈએ તાજેતરમાં કહ્યુ હતુ કે ધોનીએ જો નંબર-3 પર બેટિંગ કરી હોત તો તેમણે વધુ રન બનાવ્યા હોત પરંતુ ધોની માટે હંમેશાથી ટીમની જીત રનથી ઉપર રહી છે. તેમની અંદર હંમેશાથી ગેમ ખતમ કરવાની ખાસિયત રહી છે. તેમણે હંમેશા મુશ્કેલ સમયમાં ટીમ માટે આવુ કર્યું છે અને વર્લ્ડ કપમાં પણ તેઓ આવુ જ કરતા જોવા મળ્યા હતા.
શ્રીસંતે વધુમાં જણાવ્યુ, ધોનીને ક્રેડિટ જવી જોઈએ, પરંતુ તેમણે ક્યારેય પોતાની બેટિંગ પોઝિશનનું બલિદાન આપ્યુ નથી. તેમણે તેની પર કામ કર્યું કે કયો ખેલાડી કયા બેટિંગ ઓર્ડર પર ટીમ માટે સારુ પ્રદર્શન કરશે અને તેમના હિસાબે તેમને બેટિંગ પોઝિશન આપી. તેમની કેપ્ટનશિપની એ ખાસિયત હતી કે તે ખેલાડી પાસેથી બેસ્ટ પ્રદર્શન કરાવી લેતા હતા. તેઓ હંમેશાથી ટીમ વિશે સૌથી પહેલા વિચારતા હતા.