'ખબર તો છે નહીં કે શું કરવાનું છે...' શોએબ અખ્તરે પાકિસ્તાની ટીમ અને મેનેજમેન્ટની ઠેકડી ઉડાડી
Image: Facebook
ICC Champions Trophy 2025: પાકિસ્તાન ટીમના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે ભારત વિરુદ્ધ મળેલી હાર બાદ પાકિસ્તાની પ્લેયર્સને ખૂબ ફટકાર લગાવી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પાંચમી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું.
આ મેચ બાદ શોએબ અખ્તર નિરાશ નજર આવ્યો. મેચ બાદ તેણે કહ્યું કે 'મેનેજમેન્ટે જે પસંદગીનો નિર્ણય કર્યો અને વર્તમાન પાકિસ્તાનની ટીમમાં જે ગુણવત્તાની અછત છે, તેને જોઈને મને પહેલેથી જ લાગી રહ્યું હતું કે કંઈક આવું થવાનું છે.'
પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરતાં શોએબ અખ્તરે પાકિસ્તાની પ્લેયર્સને ફટકાર લગાવી. તેણે કહ્યું કે 'લોકો કહી રહ્યા છે કે હું ખૂબ નિરાશ છું. હું બિલકુલ પણ નિરાશ નથી. તેનું કારણ એ છે કે મને પહેલેથી ખબર હતી કે આ થવાનું છે. દુનિયા છ બોલર્સની સાથે રમી રહી છે અને તમે પાંચની પણ વ્યવસ્થા કરી શકતા નથી. તમે ખેલાડીઓની સાથે જાવ છો, મને નથી ખબર કે તમે શું વિચારી રહ્યા છો.
અખ્તરે આગળ એ પણ કહ્યું, 'માત્ર અહીં જ મગજની અછત નજર આવી રહી છે, પછી તે મેનેજમેન્ટમાં જ કેમ ન હોય. હું હકીકતમાં નિરાશ છું. હવે, આપણે ખેલાડીઓને શું કહીએ? જેવું મેનેજમેન્ટ છે, ખેલાડી પણ તેવા જ છે. તેમને ખબર જ નથી કે શું કરવાની જરૂર છે. કોઈ બાબતને લઈને ઈરાદો એક વાત છે પરંતુ તેમની પાસે તો સ્કિલ્સ જ નથી. તે રોહિત, વિરાટ કે શુભમનની જેમ શાનદાર શોટ રમશે, બોલને હવામાં મારશે. હકીકતમાં નિરાશા. મને લાગે છે કે ના તો ખેલાડીઓને કંઈ ખબર છે અને ના ટીમ મેનેજમેન્ટને. તે ત્યાં રમવા માટે જતા રહ્યા. તેમને આ વિશે કોઈ જાણકારી નહોતી કે શું કરવાની જરૂર છે.'
IND Vs PAK મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર ભારતીય ટીમે 45 બોલ બાકી રહેતા પાકિસ્તાનને 6 વિકેટથી ધૂળ ચટાડી. સતત બીજી હાર સાથે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનની ટીમ ગ્રૂપ-એમાં અંતિમ સ્થાને પહોંચી ગઈ છે. હવે પાકિસ્તાનની ટીમની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ ખૂબ અઘરો થઈ ગયો છે.