Get The App

આવી આશા નહોતી...: ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ નિરાશ થયો રોહિત શર્મા, આ બે ખેલાડીઓના કર્યા વખાણ

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
આવી આશા નહોતી...: ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ નિરાશ થયો રોહિત શર્મા, આ બે ખેલાડીઓના કર્યા વખાણ 1 - image


IND Vs NZ, Rohit Sharma ​: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી. 36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે ભારતમાં આ ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લે સન 1988માં જ્હોન રાઈટની કેપ્ટનશીપ હેઠળ ન્યૂઝીલેન્ડ જીત્યું હતું. ન્યૂઝીલેન્ડે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. 

પહેલી ઇનિંગમાં ભારતનું નિરાશાજનક પ્રદર્શન

ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં નિરાશાજનક પ્રદર્શન કરતા માત્ર 46 રન જ કરી શકી હતી. જેની સામે ન્યુઝીલેન્ડે 402 રન બનાવીને 356 રનની લીડ મેળવી લીધી હતી. જો કે બીજી ઇનિંગમાં ભારતીય ટીમે વાપસી કરતા 460નો સ્કોર બનાવ્યો હતો. અને ભારતે 106 રનની લીડ મેળવીને ન્યૂઝીલેન્ડ સામે 107 રનનો નાનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 2 વિકેટ ગુમાવી 110 રન કરી મેચ જીતી લીધી હતી

અમને અમારા પ્રયાસ પર ગર્વ

કેપ્ટન રોહિત શર્માએ આ ટેસ્ટની પહેલી ઇનિંગમાં શરમજનક બેટિંગને લઈને નિરાશા વ્યક્ત કરી હતી. રોહિતે કહ્યું, 'બીજી ઇનિંગમાં અમે બેટથી સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ અમે પહેલી ઇનિંગમાં સારી બેટિંગ કરી શક્યા ન હતા. જેની અમને આશા ન હતી. તેથી અમને ખબર હતી કે આગળ શું થવાનું છે. અમુક જ ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શક્યા હતા. જ્યારે તમે 350 રનથી પાછળ હોવ ત્યારે તમે તેના વિશે વધુ વિચારી શકતા નથી, ફક્ત બોલ અને બેટિંગ જ અજર સામે હોય છે. કેટલીક ભાગીદારી જોવાનું ખરેખર રોમાંચક હતું. અમે સરળતાથી આઉટ થઈ શક્યા હોત, પરંતુ અમને અમારા પ્રયાસ પર ગર્વ છે.'

અમે જવાબ આપવામાં નિષ્ફળ ગયા

રિષભ પંત અને સરફરાઝ ખાનને લઈને રોહિતે કહ્યું હતું કે, 'જયારે તે બંને બેટિંગ કરતા હોય છે ત્યારે દરેક સીટ ઓર બેસીને તેમણે જોવા આતુર હોય છે. રિષભે અમુક બોલ છોડી દીધા હતા અને પછીથી સારા શોટ રમ્યા હતા. સરફરાઝે પણ ઘણી પરિપક્વતા દેખાડી હતી. મેં મારી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમે જાણતા હતા કે શરૂઆતમાં મુશ્કેલી થશે, પરંતુ અમે 46 રનમાં ઓલઆઉટ થઇ ગયા તેની આશા ન હતી. ન્યૂઝીલેન્ડે સારી બોલિંગ કરી અને અમે તેનો જવાબ આપવામાં નિષ્ફળ ગયા હતા. અમને ખબર હતી કે શરૂઆતમાં હવામાન કેવું રહેશે. વાદળછાયું રહેશે તે અમને ખબર હતી. ન્યૂઝીલેન્ડે ખૂબ જ સારી બોલિંગ કરી અને અમારા બેટના દરેક ખૂણાને પડકાર્યો હતો, પરંતુ અમે જવાબ આપવામાં નિષ્ફળ ગયા. અમે આને હકારાત્મકતા લઈશું અને આગળ વધીશું.'   

આ પણ વાંચો : IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચમાં ક્યાં થઈ ચૂક? જાણો હારના પાંચ મુખ્ય કારણ

ભારત 2012થી અત્યાર સુધી ઘરઆંગણે હાર્યું નથી

રોહિતે પુનરાગમનને લઈને જણાવ્યું હતું કે, 'આવી મેચો થતી રહેતી હોય છે. અમે હવે આગળ વધીશું. અમે ઈંગ્લેન્ડ સામે એક મેચ હારી અને પછી ચાર મેચ જીતી હતી. અમે જાણીએ છીએ કે અમારામાંના દરેક પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે.'  અગાઉ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પહેલી મેચ હારી ગઈ હતી. ત્યારબાદ ટીમે જોરદાર વાપસી કરી અને સીરિઝ પોતાના નામે કરી હતી. ભારત 2012થી અત્યાર સુધી ઘરઆંગણે એકપણ ટેસ્ટ સીરિઝ હાર્યું નથી. ટીમે સતત 18 ટેસ્ટ સીરિઝ જીતી છે.

આવી આશા નહોતી...: ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ નિરાશ થયો રોહિત શર્મા, આ બે ખેલાડીઓના કર્યા વખાણ 2 - image


Google NewsGoogle News