9 વર્ષ બાદ રણજીમાં મેદાને ઉતરેલા 'હિટમેન'નું ફ્લોપ પ્રદર્શન, જોડીદાર જયસ્વાલનો પણ નબળો દેખાવ
Rohit Sharma failed in Ranji Trophy 2025: ભારતીય ટેસ્ટ અને વનડે ટીમનો કેપ્ટન રોહિત શર્મા લગભગ એક દાયકાના અંતરાલ બાદ રણજી ટ્રોફીમાં પરત ફર્યો છે. મુંબઈની ટીમે આજે (ગુરુવાર)થી મુંબઈના BKC મેદાનમાં જમ્મુ-કાશ્મીર સામે રમવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન બધાની નજર રોહિત અને યશસ્વી જયસ્વાલ પર હતી.
રોહિત શર્માની નિષ્ફળતાનો સિલસિલો ચાલુ
બુધવારે રાત્રે કોલકાતા T-20માં ટીમના ધમાકેદાર પ્રદર્શનથી ફેન્સ ઉત્સાહિત હતા, તેઓ બીજા દિવસે એટલે કે ગુરુવારે સવારે નિરાશ થયા હતા. ડોમેસ્ટિક ક્રિકેટમાં હાથ અજમાવનાર ટીમ ઈન્ડિયાના ODI અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માની નિષ્ફળતાનો સિલસિલો ચાલી રહ્યો છે.
રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બંને મેચમાં ફ્લોપ રહ્યા
આજે (23 જાન્યુઆરી)થી શરૂ થયેલી મુંબઈ અને જમ્મુ-કાશ્મીર વચ્ચેની રણજી ટ્રોફી મેચમાં અજિંક્ય રહાણેએ ટોસ જીત્યો હતો. જેમાં તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બંને મેચમાં ફ્લોપ રહ્યા હતા. યશસ્વી જયસ્વાલ 4 રન બનાવીને આકિબ નબીના બોલ પર LBW આઉટ થયો હતો. જ્યારે રોહિત શર્મા પણ 3 રન બનાવીને ઉમર નઝીરના બોલ પર પીકે ડોગરાના હાથે કેચ આઉટ થયો હતો. રોહિત શર્મા 9 વર્ષ 3 મહિના પછી રણજી રમવા આવ્યો હતો.
ઘણા મહિનાઓથી રોહિત મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી
છેલ્લા કેટલાક મહિનાઓથી 37 વર્ષીય રોહિત મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સીરિઝમાં કારમી હાર બાદ તેને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગત ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રોહિત 3 ટેસ્ટની 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન જ બનાવી શક્યો હતો.
જમ્મુ અને કાશ્મીર સામેની આ મેચ રોહિત માટે આ સિઝનમાં એકમાત્ર મેચ હોઈ શકે છે રોહિત 6 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની વનડે સીરિઝ અને ત્યારબાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની કેપ્ટનશીપ કરશે.
રોહિત છેલ્લે 2015માં રણજી ક્રિકેટ રમ્યો હતો
ભારતીય કેપ્ટન રોહિત શર્મા છેલ્લે 2015 (7 થી 10 નવેમ્બર)માં રણજી ક્રિકેટ રમતા જોવા મળ્યો હતો. ત્યારબાદ રોહિતે વાનખેડે સ્ટેડિયમમાં યુપી સામે 113 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રોહિતે અત્યાર સુધી 128 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 9290 રન બનાવ્યા છે, અહીં તેનો હાઈએસ્ટ સ્કોર 309* છે. આ સિવાય રોહિતે બોલિંગ દરમિયાન ફર્સ્ટ ક્લાસ મેચોમાં 24 વિકેટ પણ લીધી છે.
રહાણે કેપ્ટનશીપ કરી રહ્યો છે
જમ્મુ-કાશ્મીર સામેની આ મેચમાં મુંબઈનો કેપ્ટન અજિંક્ય રહાણે છે. આ મેચમાં મુંબઈની ટીમ સ્ટાર ખેલાડીઓથી શોભી રહી છે. પ્લેઈંગ 11માં રોહિત યશસ્વી સિવાય ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડી છે.