‘મને ટીમમાંથી બહાર કાઢવાની વાતો ચાલી રહી હતી’ અશ્વિનનું ચોંકાવનારું નિવેદન
ભારતે ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમ 7 માર્ચથી ધર્મશાલામાં રમાનાર છે
Image:Twitter |
Ravichandran Ashwin : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ ધર્મશાલામાં 7 માર્ચથી રમાનાર છે. ધર્મશાલા ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન એક મોટી સિદ્ધિ હાંસલ કરી લેશે. ઇંગ્લેન્ડ સામે રમાનાર છેલ્લી ટેસ્ટ મેચ સાથે અશ્વિન પોતાના ઇન્ટરનેશનલ કરિયરમાં 100 ટેસ્ટ મેચ પૂરી કરી લેશે. પરંતુ આ ટેસ્ટ પહેલા અશ્વિને એક મોટો ખુલાસો કર્યો હતો. ધર્મશાલામાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં અશ્વિને જણાવ્યું હતું કે 12 વર્ષ પહેલા ઇંગ્લેન્ડ સામે જ તેના કરિયર પર સંકટ હતું. તે સમયે તેને ટીમમાંથી બહાર કરવાની ચર્ચા થઇ રહી હતી.
“મને ટીમમાંથી બહાર કરવા અંગે ઘણી વાતો થઈ હતી”
અશ્વિને જણાવ્યું હતું કે, “એલિસ્ટર કૂક અને કેવિન પીટરસને વર્ષ 2012માં મારી વિરુદ્ધ ઘણા રન બનાવ્યા હતા. ઘરઆંગણે તે સીરિઝ મારા માટે ઘણી મુશ્કેલ હતી. તે સિરીઝ દરમિયાન મને ટીમમાંથી બહાર કરવા અંગે ઘણી વાતો થઈ હતી. પસંદગીકારોએ મારી સાથે વાત પણ કરી હતી. મીડિયામાં પણ મારી વિરુદ્ધ ઘણા લેખો લખવામાં આવ્યા હતા, જે મારા માટે એક મોટો પાઠ હતો. મને આ વસ્તુઓમાંથી ઘણું શીખવા મળ્યું. હું ક્રિકેટમાંથી શીખ્યો છું કે શીખવું એ સૌથી મોટી વસ્તુ છે.”
ઇંગ્લેન્ડ સામે 2012માં ખૂબ ખરાબ પ્રદર્શન રહ્યું અશ્વિનનું
વર્ષ 2012માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં અશ્વિન 4 મેચમાં માત્ર 12 વિકેટ જ લઈ શક્યો હતો. અશ્વિનની બોલિંગ એવરેજ 50થી વધુ હતી. આ ઉપરાંત તેનો ઈકોનોમી રેટ પણ પ્રતિ ઓવર 3 રનથી વધુ હતો. ભારતીય ધરતી પર આટલું ખરાબ પ્રદર્શન કોઈપણ બોલર માટે ખૂબ જ ખરાબ સંકેત હતું. પરંતુ આ પછી અશ્વિને ધમાકેદાર વાપસી કરી હતી. વર્ષ 2013માં અશ્વિને માત્ર 22.51ની એવરેજથી 41 વિકેટ ઝડપી હતી. વર્ષ 2015માં તેણે 62 અને 2016માં 72 વિકેટ ઝડપી હતી. હવે અશ્વિને 99 ટેસ્ટ મેચમાં 507 વિકેટ લીધી છે અને ધર્મશાલામાં 100 ટેસ્ટ મેચ રમવાનું પોતાનું મોટું સપનું પૂરું કરવા જઈ રહ્યો છે.