રોહિત શર્મા જ નહીં ટીમ ઈન્ડિયાના 5 સ્ટાર ખેલાડીઓ રણજીમાં સુપરફ્લોપ, 5 રન બનાવવામાં પરસેવો છૂટી ગયો
Ranji Trophy 2025 Rohit Sharma: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ સહિત ઘણા ભારતીય ખેલાડીઓ રણજી ટ્રોફીમાં રમી રહ્યા છે. પરંતુ તેઓ આમાં પણ કંઈ ખાસ નથી કરી શક્યા. ટીમ ઈન્ડિયાના 5 સ્ટાર ખેલાડીઓ રણજીમાં સુપરફ્લોપ સાબિત થયા છે. યશસ્વી અને રોહિત મુંબઈ માટે રમી રહ્યા છે. જ્યારે ઋષભ પંત દિલ્હી તરફથી રમી રહ્યો છે. આ સાથે જ રણજી મેચમાં ભારતના કુલ પાંચ સ્ટાર ખેલાડીઓ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.
મુંબઈનો જમ્મુ-કાશ્મીર સાથે મુકાબસો ચાલી રહ્યો છે. ગુરુવારથી તેની શરૂઆત થઈ હતી. મુંબઈની ટીમ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. આ દરમિયાન ટીમે 47 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર યશસ્વી માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે રોહિત 3 રન બનાવીને આઉટ થયો હતો. તેવી જ રીતે શ્રેયસ અય્યર પણ કંઈ નહોતો કરી શક્યો. તે 7 બોલમાં 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કેપ્ટન અજિંક્ય રહાણે 12 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. બીજી તરફ શિવમ દૂબે તો પોતાનું ખાતું પણ નહોતો ખોલાવી શક્યો.
ગિલ અને પંતની સ્થિતિ
ઋષભ પંત દિલ્હી માટે રમી રહ્યો છે. દિલ્હી અને સૌરાષ્ટ્ર વચ્ચેની મેચ રાજકોટમાં રમાઈ રહી છે. પંત દિલ્હી માટે પ્રથમ ઈનિંગમાં પાંચમા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. આ દરમિયાન તે માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે શુભમન ગિલ પંજાબ ટીમનો હિસ્સો છે અને તે કેપ્ટન પણ છે. આ મેચ બેંગ્લોરમાં પંજાબ અને કર્ણાટક વચ્ચે રમાઈ રહી છે. ગિલ પણ માત્ર 4 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તે ઓપનિંગ કરવા માટે આવ્યો હતો.
પાટીદાર અને વેંકટેશ પણ સસ્તામાં આઉટ
રજત પાટીદાર અને વેંકટેશ અય્યર મધ્યપ્રદેશ માટે રમી રહ્યા છે. મધ્યપ્રદેશ અને કેરળ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. આ દરમિયાન મધ્યપ્રદેશે 63 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન પાટીદાર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. બીજી તરફ વેંકટેશ 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.