'હવે રન બનાવવા પડશે', રોહિત શર્માના ખરાબ ફોર્મ પર આર.અશ્વિનનો ટોણો, જાડેજા અંગે પણ કરી મોટી વાત
Ravichandran Ashwin on Rohit & Jadeja : છેલ્લા ઘણાં સમયથી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. T20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રોહિત એકપણ મોટી ઇનિંગ રમ્યો નથી. આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોહિતના ફોર્મને લઈન ટીમ મેનેજમેન્ટ ચિંતિત છે. આ દરમિયાન રોહિતના ફોર્મને લઈને પૂર્વ દિગ્ગજ ખેલાડી રવિચંદ્રન અશ્વિને મોટું નિવેદન આપ્યું છે. તેણે રોહિતના પ્રદર્શનને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
શું કહ્યું અશ્વિને?
રોહિતને લઈને અશ્વિને જણાવ્યું હતું કે, 'રોહિત માટે આ મુશ્કેલ સમય છે. તેણે પોતાના ટીકાકારોનું મોઢું બંધ કરવા માટે એક મોટી ઇનિંગ રમવી પડશે. રોહિતે આ ઇનિંગ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રમવાની કોશિશ કરવી જોઈએ. રોહિતે વનડે ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને તે આને જાળવી રાખવા માંગશે. પરંતુ ક્રિકેટ જોનારા ચાહકો રોહિતના ખરાબ ફોર્મ પર સવાલો તો પૂછશે જ? તેણે હવે રન બનાવવા જ પડશે. તમે આ સવાલોથી બચી શકતા નથી.'
જાડેજાની અશ્વિને કરી પ્રશંસા
તાજેતરમાં ભારતનો જાદુઈ સ્પીનર રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામે રમાયેલી પહેલી વનડે મેચમાં પોતાની 600 આંતરરાષ્ટ્રીય વિકેટ પૂરી કરી હતી. આ મેચમાં જાડેજાએ ત્રણ વિકેટ મેળવી હતી. જાડેજાના આ શાનદાર પ્રદર્શનની અશ્વિને પ્રશંસા કરતા કહ્યું હતું કે, 'જાડેજા દબાણમાં શાનદાર બેટિંગ પણ કરે છે. તેણે જો રૂટની વિકેટ પણ લીધી હતી. ફિલ્ડીંગ દરમિયાન તે પૂરા મેદાનમાં દોડી શકે છે. તે એક શાનદાર ફિલ્ડર છે.'
રોહિતનું હાલના દિવસોમાં સતત ખરાબ પ્રદર્શન
હાલમાં ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી વનડે સીરિઝની પહેલી વનડે મેચમાં રોહિતે માત્ર 2 રન બનાવ્યા હતા. આ પહેલા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિતે રમેલી છેલ્લી પાંચ ઇનિંગ્સમાં અનુક્રમે 3, 9, 10, 3 અને 6 રન બનાવ્યા હતા. તેની પહેલા ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં પણ તેનું બેટ ચાલ્યું ન હતું. તેણે 6 ઇનિંગ્સમાં માત્ર એક જ અડધી સદી ફટકારી હતી.