Fact Check : પાકિસ્તાનમાં ભારતીય તિરંગો લહેરાયો... સ્ટેડિયમના વાઈરલ વીડિયોનો દાવો ખોટો સાબિત
Champions Trophy 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આજે બપોરે 2.30 વાગ્યે શરૂ થવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરાયો હતો કે પાકિસ્તાનમાં તમામ દેશના રાષ્ટ્રધ્વજ ફરકાવાયા પણ ભારતનો નહીં. તેના બાદ સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો હતો. જોકે આ વીડિયોમાં કરાયેલો દાવો હવે ફેક સાબિત થયો છે. હકીકતમાં પાકિસ્તાન બોર્ડે પોતાના સ્ટેડિયમમાં ભારતનો તિરંગો લહેરાવ્યો છે. જે સ્ટેડિમયની છત પર નહીં પણ એક ઈવેન્ટમાં લહેરાવ્યો છે. આજે કરાચી નેશનલ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ રમાશે.
તદઉપરાંત જાણીતી મીડિયા એજન્સીની તપાસમાં એ વાત સાબિત થઇ કે આ વીડિયોમાં કરાયેલો દાવો ખોટો છે. પીસીબીના સુત્રોએ કહ્યું કે સ્ટેડિયમની છત પર ફરકાવાયેલા રાષ્ટ્રધ્વજ અંગે કોઈ વિવાદ નથી. આઈસીસીના નિયમ પ્રમાણે ચાર જ ધ્વજ ફરકાવી શકાય છે. જેમાં એક આઈસીસી ઈવેન્ટ ઓથોરિટી, બીજો પીસીબી જે ચેમ્પિયન્સ ટ્રોફીનું મેજબાન છે અને એ જ દિવસે રમનારી બે ટીમના ધ્વજ ફરકાવવામાં આવી શકે છે.
ભારતનો તિરંગો ન લગાવ્યાનો કરાયો હતો દાવો જે ખોટો સાબિત થયો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરાચી નેશનલ સ્ટેડિયમ પર ચેમ્પિયન્સ ટ્રોફીમાં સામેલ તમામ દેશોની ટીમના ઝંડા લગાવ્યા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાનો તિરંગો તેમાંથી ગાયબ હતો તેવો એક વીડિયોમાં દાવો કરાયો હતો. ચારેકોર આ મામલે ખોટો વિવાદ ઊભો કરાયો હતો. સોશિયલ મીડિયા પર કરાચી નેશનલ સ્ટેડિયમની અમુક ફેક તસવીરો અને વીડિયો વાયરલ થયા હતાં. જેમાં ભારતનો તિરંગો ન હતો. પરંતુ અન્ય તમામ દેશોનો રાષ્ટ્રધ્વજ હતો.
ટીમ ઈન્ડિયાની ટી-શર્ટ પર પાકિસ્તાનનો ઉલ્લેખ
ઉલ્લેખનીય છે, ટીમ ઈન્ડિયાએ ભલે પાકિસ્તાનમાં મેચ રમવાનો ઈનકાર કર્યો હોય પણ તેણે હોસ્ટ નેશન તરીકે પાકિસ્તાનના નામનો ઉલ્લેખ પોતાની ટી-શર્ટમાં કર્યો છે. ટીમ ઈન્ડિયા પોતાની તમામ મેચ દુબઈમાં રમવાની છે. આવતીકાલે 20 ફેબ્રુઆરીએ બપોરે 2.30 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે રમશે.