અમે બહુ મળતા નથી પણ...: વિરાટ કોહલી સાથે મિત્રતા પર ધોનીએ જુઓ શું કહ્યું

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
Virat kohli with MS Dhoni



MS Dhoni Statement on Virat Kohli: ભારતીય ક્રિકેટના બે મોટા દિગ્ગજ ખેલાડીઓ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી વચ્ચેની મિત્રતા વિશે બધાં જ જાણે છે. ધોનીના ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ બંને આઈપીએલ દરમિયાન વાતચીત કરતા જોવા મળે છે. તેઓ એકબીજાની ખબર-અંતર પૂછવા માટે મેચની બહાર સમય કાઢે છે. IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆતની મેચ દરમિયાન, ક્રિઝ પર જતા પહેલા કોહલી ધોની પાસે ગયો હતો અને તેના ખભા પર હાથ રાખીને તેની સાથે વાત કરી હતી. બંનેનો આ વીડિયો ઘણો વાયરલ થયો હતો. વિરાટ આ પહેલા પણ ઘણી વખત બંને વચ્ચેની મિત્રતાની વાત કરી ચૂક્યો છે, પરંતુ  આ અંગે ધોનીએ પહેલીવાર પોતાનો મત વ્યક્ત કર્યો છે.

ધોનીએ વિરાટ વિશે શું કહ્યું?

ભારતનો પૂર્વ વિકેટ કીપર અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે વિરાટ કોહલીના ખૂબ વખાણ કર્યા હતા. તેણે વિરાટને ક્રિકેટની દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક ગણાવ્યો હતો. દરમિયાન ધોનીએ તેની સાથે ટીમ ઈન્ડિયાના દિવસોને પણ યાદ કર્યા હતા. તેણે કહ્યું કે વચ્ચેની ઓવરોમાં વિરાટ સાથે બેટિંગ કરવાની ખૂબ જ મજા આવતી હતી, કારણ કે તે બંને બે રન અને ત્રણ રન માટે ખૂબ જ દોડતા હતા. આ દરમિયાન તેણે એ વાતનો પણ ખુલાસો કર્યો કે બંને બહુ મળતા નથી. તેઓ મુખ્યત્ત્વે IPL દરમિયાન મળે છે અને ત્યારે બંને ચોક્કસપણે એકબીજા પાસે જઈને વાત કરે છે. 

આ પણ વાંચોઃ પેરિસ ઓલિમ્પિકઃ ભજન-દીપિકા તીરંદાજીમાં મેડલ ચૂક્યા, ભારતને 36 વર્ષમાં એક પણ સફળતા નથી મળી

વિરાટ-ધોની વચ્ચે ખાસ મિત્રતા

વિરાટ કોહલી જ્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ જ તેને ફોન કરીને પ્રોત્સાહિત કર્યો હતો. ખુદ કોહલીએ પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. વિરાટે તેના એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે ધોનીએ જ તેને કેપ્ટનશિપ માટે પસંદ કર્યો અને તૈયાર કર્યો. આટલું જ નહીં, શરૂઆતના દિવસોમાં ફ્લોપ હોવા છતાં, ધોનીએ તેને તક આપી હતી, નહીંતર તેની કારકિર્દી ખતમ થઈ ગઈ હોત.

 'થાલા ફોર એ રિઝન' પર ટિપ્પણી કરી

આ કાર્યક્રમ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીને 'થલા ફોર એ રિઝન' ટ્રેન્ડ વિશે પણ પૂછવામાં આવ્યું હતું. તેણે જવાબમાં જણાવ્યું કે તેને આ જાણકારી ઈન્સ્ટાગ્રામ દ્વારા મળી છે. તેણે તેના પ્રશંસકોના સમર્થન માટે આભાર માન્યો. ધોનીએ કહ્યું કે આ કારણે તેને પોતાનો બચાવ કરવા માટે સોશિયલ મીડિયા પર આવવાની જરૂર નથી. આ કામ તેના ચાહકો કરે છે.

આ પણ વાંચોઃ IPL 2025 પહેલા મોટો ખેલ કરશે ધોની! આ ત્રણ ખેલાડીઓ CSKમાં કરી શકે છે એન્ટ્રી

વિરાટ શ્રીલંકા સામે 1000 રન પૂરા કરી શકી છે

વિરાટ હાલમાં શ્રીલંકા પ્રવાસ પર છે અને વનડે શ્રેણી રમી રહ્યો છે. આ શ્રેણીમાં તેની પાસે શ્રીલંકા સામેની વનડેમાં 1000 રન પૂરા કરવાની તક છે. વિરાટ કોહલીએ હાલમાં શ્રીલંકા સામે 23 વનડેમાં 889 રન બનાવ્યા છે. હવે તેને શ્રીલંકા સામેની વનડેમાં 1000 રન પૂરા કરવા માટે 111 રનની જરૂર છે.


Google NewsGoogle News