“MS ધોની તેમની કારકિર્દીમાં વધુ રન બનાવી શક્યા હોત પરંતૂ તેમણે પોતાના કરતા ટીમને આગળ રાખી”: ગૌતમ ગંભીર
નવી દિલ્હી,તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર
ભૂતપૂર્વ કેપ્ટન MS ધોની અત્યાર સુધી એકમાત્ર એવા કેપ્ટન છે જેમણે ભારત માટે ત્રણ ICC ટ્રોફી જીતી છે. 2011 ODI વર્લ્ડ કપમાં ધોનીએ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે આજ સુધી જે કર્યું છે તે કોઇ કેપ્ટન કરી શક્યો નથી.
ધોનીના સાથી અને ભૂતપૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરે પોતાના નિવેદનમાં ઘણી વખત કહ્યું છે કે, વર્લ્ડ કપનો શ્રેય માત્ર એક સિક્સરને આપવામાં આવે છે સમગ્ર ટીમને નહીં. પરંતુ આ વખતે ગંભીરે ધોની પર ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
ગૌતમ ગંભીરે એમ એસ ધોનીને લઇને એક નિવેદન આપતા કહ્યું કે,ધોનીએ ટીમની ટ્રોફી માટે પોતાના આંતરરાષ્ટ્રીય રનનું બલિદાન આપ્યું છે. ધોની તેની કારકિર્દીમાં વધુ રન બનાવી શક્યો હોત, પરંતુ તેણે હંમેશા ટીમને પોતાના કરતા આગળ રાખી. જો તે કેપ્ટન ન હોત તો તે ભારતનો નંબર ત્રણ બેટ્સમેન હોત. તે વધુ રન બનાવી શક્યો હોત પરંતુ તેણે ટીમને પોતાના કરતા આગળ રાખી હતી.
ટીમ ઈન્ડિયાએ છેલ્લી આઈસીસી ટ્રોફી ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં 2013માં ધોનીની કેપ્ટન્સીમાં જીતી હતી. ત્યારથી ભારત માત્ર ICC ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે.
આ વખતે ODI વર્લ્ડ કપ 2023ની યજમાની ભારત દ્વારા કરવામાં આવશે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ રમવા જઇ રહી છે. જેમાં ભારત ફરી એકવાર ટ્રોફી જીતે તેવી આશા છે.