ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં રાહુલના સ્થાને આ ખેલાડી કરી શકે છે કીપિંગ, ટીમ મેનેજમેન્ટે આ કારણે લીધો નિર્ણય

ટીમ મેનેજમેન્ટ રાહુલને વિકેટકીપિંગ અને બેટિંગના બેવડા દબાણમાંથી મુક્ત કરવા માંગે છે

ટેસ્ટ ટીમમાં અલગ વિકેટકીપર રાખવાની રણનીતિ મુજબ કે.એસ ભરતને વિકેટકીપરની ભૂમિકા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં રાહુલના સ્થાને આ ખેલાડી કરી શકે છે કીપિંગ, ટીમ મેનેજમેન્ટે આ કારણે લીધો નિર્ણય 1 - image
Image:Twitter

Ishan Kishan Play As Wicket keeper Against England : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી રમાનાર 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમ અન્ય વિકેટકીપર ખેલાડીને ટીમમાં સામેલ કરી શકે છે. જયારે કે.એલ રાહુલ બેટ્સમેન તરીકે રમશે. મળેલા અહેવાલો મુજબ વિકેટકીપર તરીકે વિવાદમાં ચાલી રહેલા ઇશાન કિશનને તક મળી શકે છે. રાહુલ દ્રવિડની આગેવાની હેઠળની ટીમ મેનેજમેન્ટ લાંબા વિરામ બાદ આંતરરાષ્ટ્રીય મેચોમાં પરત ફરતા પહેલા ખેલાડીઓને સ્થાનિક મેચો રમવાની તક આપી રહી છે. ઈશાન કિશન 19 જાન્યુઆરીથી દિલ્હીમાં ઝારખંડ અને સર્વિસીઝ વચ્ચે રમાનારી મેચમાં રમીને પોતાનું ફોર્મ સાબિત કરી શકે છે.

‘ઈશાને પોતે રજા લીધી છે અને તેણે હજુ પસંદગી માટે તેની ઉપલબ્ધતા દર્શાવી નથી’ - રાહુલ દ્રવિડ

ગઈકાલે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ દ્રવિડે ઇશાન કિશનને અનુશાસનહીનતાને કારણે ટીમમાંથી બહાર રાખવાની અફવાહોને ખોટી બતાવી હતી. તેણે કહ્યું, ‘ઈશાને પોતે રજા લીધી છે અને તેણે હજુ પસંદગી માટે તેની ઉપલબ્ધતા દર્શાવી નથી. ટેસ્ટ ટીમમાં અલગ વિકેટકીપર રાખવાની રણનીતિ મુજબ કે.એસ ભરતને વિકેટકીપરની ભૂમિકા માટે તૈયાર કરવા માટે અમદાવાદમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામેની A-સીરિઝમાં તાલીમ આપવામાં આવી રહી છે. જો કે આ રોલ માટે ઈશાન કિશન પણ સંભવિત વિકલ્પ છે.’

ટીમ મેનેજમેન્ટ રાહુલને વિકેટકીપિંગ અને બેટિંગના બેવડા દબાણમાંથી મુક્ત કરવા માંગે છે

ભારતની ટર્નિંગ પિચો પર વિકેટકીપિંગના પડકારને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ કે.એલ રાહુલને વિકેટકીપિંગ અને બેટિંગના દબાણમાંથી મુક્ત કરવા માંગે છે. પીઠની સર્જરી બાદ રાહુલ પર વધુ દબાણ ન આપવા અને તેને માત્ર બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવી છે. તેને રણજી ટ્રોફી ન રમવાની અને આરામ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. જ્યારે શ્રેયસ અય્યરને મલ્ટિ ફોર્મેટ મેચો રમવા માટે કહેવામાં આવ્યું છે અને તે 12 જાન્યુઆરીથી મુંબઈમાં આંધ્રપ્રદેશ સામે મુંબઈનું પ્રતિનિધિત્વ કરશે.

ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં રાહુલના સ્થાને આ ખેલાડી કરી શકે છે કીપિંગ, ટીમ મેનેજમેન્ટે આ કારણે લીધો નિર્ણય 2 - image


Google NewsGoogle News