જસપ્રીત બુમરાહ અને યશસ્વી જાયસ્વાલ ચેમ્પિયન્સ ટ્રૉફીથી બહાર, બે યુવા ક્રિકેટરને ટીમમાં સામેલ કરાયા
Team India Squad For Champions Trophy: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આ મહિને પાકિસ્તાનની યજમાનીમાં રમાશે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે ફાઇનલ 9 માર્ચે રમાશે. આ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી. જેમાં ઇજાગ્રસ્ત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈને સસ્પેન્સ હતું. પરંતુ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે પોતાનો નિર્ણય જાહેર કર્યો છે.
બુમરાહ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સિડની ટેસ્ટ દરમિયાન તેને કમરના નીચેના ભાગમાં ઈજા થઈ હતી. બીસીસીઆઈ પસંદગી સમિતિએ બુમરાહના સ્થાને ઝડપી બોલર હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યો છે.
બુમરાહ ઉપરાંત ટીમમાં બીજો એક ફેરફાર થયો છે. ઓપનર યશસ્વી જયસ્વાલને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેમના સ્થાને સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તીને ટીમમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જોકે, યશસ્વીને નોન-ટ્રાવેલિંગ સબસ્ટિટ્યુટ તરીકે રાખવામાં આવ્યો છે. તેમના ઉપરાંત, ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઓલરાઉન્ડર શિવમ દુબેને પણ નોન-ટ્રાવેલિંગ સબસ્ટિટ્યુટ તરીકે રાખવામાં આવ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોની ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદર.
નોન-ટ્રાવેલિંગ સબસ્ટિટ્યુટ: યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે.