મારી સાથે જ કેમ આવું થાય છે? ઇશાન કિશને ટીમમાંથી બહાર થવા અને BCCI કોન્ટ્રાક્ટ ગુમાવવા અંગે શું કહ્યું?

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
ishan kishan


ISHAN KISHAN ON LOOSING BCCI CONTRACT: ભારતીય ક્રિકેટર ઇશાન કિશન (ISHAN KISHAN) ને છેલ્લા કેટલાક સમયથી નિયમિત ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના માટે છેલ્લો કેટલોક સમયગાળો સંઘર્ષમય રહ્યો હતો કારણ કે BCCI દ્વારા તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ રદ કરવામાં આવ્યો હતો. તો મુંબઈ ઈન્ડિયન્સ માટે તેની IPL સિઝન પણ ખાસ્સી સરેરાશ રહી હતી. હવે તેણે એક મોટું નિવેદન આપ્યું છે જેના કારણે ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચાયું છે. 

ભારતની દક્ષિણ આફ્રિકા ટુર વખતે ઇશાન કિશન ટીમ ઈન્ડિયાની સાથે હતો. આ એ સમયગાળો હતો જ્યારે ટીમમાં હોવા છતા સતત કેટલીક ટુર્નામેન્ટમાં તેને બેન્ચ કરવામાં આવી રહ્યો હતો. ટીમમાં તેની જગ્યા બની નહોતી રહી કે પછી કેપ્ટન રોહિત અને કોચ દ્રવિડને તેનું મહત્વ લાગતું નહોતું એ તો તેઓ જ જાણે છે પણ ઇશાન કિશનને સ્કવોડમાં હોવા છતાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નહોતું મળી રહ્યું. ત્યારે માનસિક થાકનું કારણ આપીને કિશન ભારત પરત આવી ગયો હતો. પણ ત્યાર પછી શિસ્તનું કારણ આપીને તેને અને શ્રેયસ ઐય્યરને BCCI દ્વારા સાઈડલાઇન કરવામાં આવ્યા હતા. 

તાજેતરમાં ભારતની એક જુનિયર ટીમ ઝીમ્બાબ્વે પ્રવાસ માટે ગઈ હતી. આ ટીમમાં પણ ઇશાન કિશનની પસંદગી કરવામાં આવી નહોતી. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ઇશાને આ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'હું નિરાશ થવા નથી માગતો. હું સતત મારુ શ્રેષ્ઠ આપતો રહેવા માગું છું.'

ક્રિકેટરે સ્વીકાર્યું હતું કે છેલ્લો કેટલોક સમય તેના માટે ખરાબ અને નિરાશાજનક રહ્યો હતો. તેણે કહ્યું હતું કે, 'એ સમય નિરાશાજનક હતો. બધુ બરાબર હતું. પણ ત્યાર પછી જે થયું એને લઈને મારા મનમાં સતત ચાલતું રહે છે કે યાર કેમ થયું, શું થયું, મારી સાથે જ કેમ આવું થયું? આ બધુ ત્યારે થયું જ્યારે હું સારો દેખાવ કરી રહ્યો હતો.

બ્રેક લેવાનું શું કારણ હતું એ પ્રશ્નનો જવાબ આપતા તેણે કહ્યું હતું કે, 'હું રન સ્કોર કરી રહ્યો હતો અને ત્યારે જ મને બેન્ચ કરવામાં આવ્યો. ટીમ સ્પોર્ટમાં આવું થતું રહે છે. પણ મને પ્રવાસનો થાક હતો. કૈંક ખોટું થઈ રહ્યું હતું અને હું સારું નહોતો અનુભવી રહ્યો. આખરે મેં બ્રેક લેવાનો નિર્ણય લીધો. પણ મારા પરિવાર અને અંગત મિત્રો સિવાય કોઈ સમજ્યું નહીં. 


Google NewsGoogle News