IPLમાં મેચ ફિક્સિંગ? લખનઉ સામે પરાજય બાદ રાજસ્થાન રોયલ્સ પર ગંભીર આરોપ
IPL 2025 Match Fixing: IPL 2025 ની એક રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારી ગઈ. આ પાછી એક વિવાદ શરુ થયો છે. રાજસ્થાન રોયલ્સની હાર પર મેચ ફિક્સિંગના આરોપો લાગવા લાગ્યા છે. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA) ની એડહોક કમિટીના કન્વીનર જયદીપ બિહાનીએ કહ્યું કે આ મેચમાં ચોક્કસપણે કંઈક ખોટું થયું છે.
રાજસ્થાન રોયલ્સની હાર પર મેચ ફિક્સિંગના આરોપો
મેચની વાત કરીએ તો, રાજસ્થાનને 181 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને છેલ્લી ઓવરમાં તેને જીતવા માટે ફક્ત 9 રનની જરૂર હતી, એમાં પણ તેમની પાસે 6 વિકેટ બાકી હતી. પરંતુ લખનઉના બોલર અવેશ ખાને શાનદાર બોલિંગ કરી અને રાજસ્થાન 2 રનથી હારી ગયું. આ હાર બાદ જ રાજસ્થાનની ટીમ પર પ્રશ્નો ઉભા થયા છે.
ટીમની હાર અંગે જયદીપ બિહાણીએ શંકા વ્યક્ત કરી
જયદીપ બિહાણીને આ હાર અંગે શંકા વ્યક્ત કરી છે અને પ્રશ્ન ઉઠાવ્યા છે કે ટીમ પોતાના જ ઘર આંગણે કેવી રીતે હારી ગઈ? તેમણે યાદ અપાવ્યું કે 2013 ની શરૂઆતમાં, રાજસ્થાનના કેટલાક ખેલાડીઓ સ્પોટ-ફિક્સિંગમાં સામેલ હતા અને ટીમનો ઇતિહાસ થોડો વિવાદાસ્પદ રહ્યો છે.
અગાઉ રાજ કુન્દ્રા પર પણ લાગ્યો હતો સટ્ટાબાજીનો આરોપ
આ ઉપરાંત જયદીપ બિહાણીએ એવો પણ આરોપ લગાવ્યો કે ફ્રેન્ચાઇઝના માલિક રાજ કુન્દ્રા પણ અગાઉ સટ્ટાબાજીના કેસમાં ફસાઈ ચૂક્યા છે અને તેના કારણે ટીમને બે વર્ષનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.
આ વખતે પણ તેમણે BCCI પાસે માંગ કરી છે કે આ મામલાની તપાસ થવી જોઈએ. ફ્રેન્ચાઇઝના માલિક રાજ કુંદ્રા સટ્ટાબાજી કરતા પકડાયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તેમજ રાજસ્થાન ટીમ પર 2016 અને 2017 માં બે સેશન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સ્ટેડિયમ મેનેજમેન્ટ પર પણ ઉઠાવ્યા પ્રશ્નો
ઈન્ટરવ્યૂમાં, બિહાનીએ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનને IPLનું આયોજન કરવાથી દૂર રાખવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા RCA ની નિમણૂક એક એડ-હોક સમિતિ તરીકે કરવામાં આવી હતી અને આ સમયગાળા દરમિયાન તમામ સ્તરે ક્રિકેટ સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ IPLના આયોજન સમયે, રાજસ્થાન સ્પોર્ટ્સ કાઉન્સિલે સ્ટેડિયમનો નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધો હતો.'
આ પણ વાંચો: ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડીના પિતાનું નિધન, કાળી પટ્ટી બાંધી મેચ રમવા ઉતરી ટીમ
આ મામલે વધુમાં વાત કરતા બિહાનીએ વધુમાં કહ્યું હતું કે, 'બીસીસીઆઈએ પહેલા આઈપીએલ માટે આરસીએને પત્ર મોકલ્યો હતો પરંતુ સ્પોર્ટ્સ કાઉન્સિલ અને રાજસ્થાન રોયલ્સે બહાનું કાઢ્યું કે અમારી પાસે સવાઈ માનસિંહ સ્ટેડિયમનો એમઓયુ નથી. જો કોઈ MOU ન હોય તો શું? શું તમે દરેક મેચ માટે સ્પોર્ટ્સ કાઉન્સિલને પૈસા નથી આપતા?' બિહાનીના આ નિવેદનથી વિવાદ વધ્યો છે.
મેચ સુપર ઓવર સુધી ચાલી હતી
આ પહેલી વાર નથી જ્યારે રાજસ્થાન રોયલ્સ આટલી નજીક પહોચીને મેચ હારી ગયું હોય. અગાઉ, દિલ્હી કેપિટલ્સ (DC) સામે પણ, ટીમને છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી અને તેમની પાસે 7 વિકેટ બાકી હતી. પરંતુ તે મેચ પણ સુપર ઓવરમાં ગઈ અને રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો. સતત ચોથી હાર બાદ, રાજસ્થાન રોયલ્સ હવે IPL 2025 પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે, જ્યાં તેમની પાસે 8 મેચમાંથી ફક્ત 2 જીત અને 4 પોઈન્ટ છે.