IPL 2024: કોલકાતા સામે મુંબઈના પરાજય બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમને શું સંદેશ આપ્યો?

Updated: May 12th, 2024


Google NewsGoogle News
IPL 2024: કોલકાતા સામે મુંબઈના પરાજય બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમને શું સંદેશ આપ્યો? 1 - image


Image Source: Twitter

KKR vs MI: મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સિઝનની 9મી હાર બાદ હતાશ નજર આવ્યો હતો. મેચ પછી તેણે કહ્યું કે MI આ સિઝનમાં સારું ક્રિકેટ નથી રમી. IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવીને હાર્દિક પંડ્યાને આ જવાબદારી સોંપી હતી. પંડ્યાની કેપ્ટનશિપમાં ટીમનું પ્રદર્શન આ સિઝનમાં નિરાશાજનક રહ્યું છે. MIએ અત્યાર સુધી રમાયેલી 13 મેચમાંથી 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે તેને માત્ર 4 જ મેચમાં જ જીત મળી છે. મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની હાર બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું કે, મને નથી લાગતું કે અમે આ સિઝનમાં પર્યાપ્ત સારું ક્રિકેટ રમ્યા છે.

આનંદ લો અને સારું રમો

KKR સામેની મેચ વિશે વાત કરતા કેપ્ટને કહ્યું કે, તે મુશ્કેલ હતું. એક બેટિંગ યુનિટ તરીકે પાયો તો નાખ્યો હતો પરંતુ અમે ત્યાર બાદ તેનો ફાયદો ન ઉઠાવી શક્યા અને મોમેન્ટમ ન જાળવી શક્યા. વિકેટ થોડી ઉપર-નીચે હતી. અને થોડું સ્ટીકી હતું તેથી  ગતિ ખૂબ જ મહત્ત્તવપૂર્ણ હતી. મને લાગે છે કે, પરિસ્થિતિને જોતા આ ચેઝ કરી શકાય તેવો સ્કોર હતો. મને લાગ્યું કે બોલરોએ સારું પ્રદર્શન કર્યું.  પંડ્યાએ આ સાથે જ સિઝનની છેલ્લી મેચ માટે ટીમને સંદેશ આપ્યો છે કે, કંઈ નહીં, બસ જાઓ અને બને એટલો આનંદ માણો અને સારું રમો, શરૂઆતથી આ જ મારું આદર્શ વાક્ય રહ્યું છે. 

વરસાદના કારણે મેચ થોડી મોડી શરુ થઈ હતી

વરસાદના કારણે આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સે 7 વિકેટના નુકસાન પર 157 રન બનાવ્યા હતા. મેચ મોડી શરૂ થવાને કારણે 4-4 ઓવર ઓછી કરવામાં આવી હતી. KKR તરફથી વેંકટેશ અય્યરે સૌથી વધુ 42 રનની ઈનિંગ રમી હતી. રન ચેઝ કરવા ઉતરેલી MIની ટીમને ઈશાન કિશન અને રોહિત શર્માએ વિસ્ફોટક શરૂઆત તો અપાવી હતી પરંતુ મિડલ ઓર્ડર ફેલ થવાના  કારણે ટીમ ટાર્ગેટ સુધી ન પહોંચી શકી. ઈશાન કિશનના 40 અને તિલક વર્માના 17 બોલમાં 32 રન સિવાય MIનો કોઈ બેટ્સમેન છાપ નહોતો છોડી શક્યો. મુંબઈ 16 ઓવરમાં માત્ર 139 રન બનાવી શકી હતી. KKRએ આ મેચ 16 રને જીતીને પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે. 

IPL 2024: કોલકાતા સામે મુંબઈના પરાજય બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમને શું સંદેશ આપ્યો? 2 - image


Google NewsGoogle News