ધર્મશાલામાં ભારતીય ટીમ 112 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે! ટેસ્ટ ક્રિકેટમાં માત્ર ત્રણ વખત બન્યું આવું
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારત પાસે 3-1ની અજેય લીડ છે
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ ધર્મશાલામાં રમાનાર છે
Image:Twitter |
IND vs ENG Test Series : ભારતે અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધી ચાર મેચ રમાઈ ચૂકી છે, જેમાંથી ભારતે ત્રણ મેચ જીતી છે અને સીરિઝમાં 3-1થી આગળ છે. હવે છેલ્લી મેચ ધર્મશાલામાં રમાશે. કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, ખાસ કરીને યુવા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. ટીમના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે બે બેવડી સદી ફટકારી હતી, જ્યારે શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી અને ધ્રુવ જુરેલ સાથે મળીને ભારતીય ટીમને ચોથી ટેસ્ટ મેચમાં જીત અપાવી હતી.
ભારત તોડશે 112 વર્ષ જૂનો રેકોર્ડ
ટેસ્ટ સીરિઝ કબજે કર્યા બાદ હવે ભારતીય ટીમની નજર ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ મેચ જીતવા પર છે. આ સાથે ભારતીય ટીમ પાસે 112 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક છે. જો ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધરમશાલામાં રમાનાર છેલ્લી ટેસ્ટ જીતે છે તો તે 112 વર્ષ બાદ પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં પ્રથમ મેચ હાર્યા બાદ બાકીની ચાર મેચ જીતનારી બીજી ટીમ બની જશે.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ત્રણ વખત બન્યું આવું
આ પહેલા ઈંગ્લેન્ડે વર્ષ 1912માં આ કારનામું કર્યું હતું. ટેસ્ટ ઈતિહાસની વાત કરીએ તો અત્યાર સુધીમાં ત્રણ વખત આવું બન્યું છે જેમાં ઓસ્ટ્રેલિયા બે વખત વર્ષ 1897-1898 અને 1901-1902માં આ કારનામું કરી ચૂક્યું છે અને ઈંગ્લેન્ડે 1912માં આવું પરાક્રમ કર્યું હતું.