World Cup 2023 : અમદાવાદના આંગણે ટીમ ઇન્ડિયાનુ આગમન,પાકિસ્તાન સામે શનિવારે ખરાખરીનો જંગ
બંને ટીમોએ અત્યાર સુધીમાં 2-2 મેચ જીત્યા
Indian Cricket Team Arrived At Ahmedabad : અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચ 14 ઓક્ટોબરે રમાવાની છે. બંને ટીમોએ અત્યાર સુધીમાં 2-2 મેચ જીત્યા છે. આજે અમદાવાદમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું આગમન થઇ ગયું છે. ભારતીય ટીમ અમદાવાદમાં આઇટીસી નર્મદા હોટલમાં રોકાશે.
શુભમન ગિલ એક દિવસ પહેલા આવ્યો હતો
ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વર્લ્ડકપ 2023ની શરૂઆતની બે મેચમાં રમતો જોવા મળ્યો નહતો. વર્લ્ડકપ શરૂ થયા પહેલા તેને ડેન્ગ્યૂ થયો હતો. ચેન્નાઇમાં ભારતે પ્રથમ મેચ રમી હતી જ્યાં ગિલ હોસ્પિટલમાં દાખલ હતો. તે અફઘાનિસ્તાન વિરૂદ્ધ મેચ માટે ટીમ ઇન્ડિયા સાથે દિલ્હી પણ ગયો નહતો. શુભમન ગિલ બુધવારે અમદાવાદ પહોંચ્યો હતો.
ગિલે નેટ્સમાં શરુ કરી પ્રેક્ટિસ
ગિલને ODI World Cup 2023 શરુ થાય તે પહેલા ડેન્ગ્યુ થયો હતો. ત્યારબાદ તેને BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. તેને ચેન્નઈની એક હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ બે દિવસની અંદર તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચ પહેલા ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે જણાવ્યું હતું કે 'ગિલ હવે ઠીક છે અને ખુબ ઝડપથી રિકવર કરી રહ્યો છે.' ગિલ અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચ માટે ટીમ સાથે દિલ્હી ગયો ન હતો પરંતુ તે પાકિસ્તાન સામે રમાનાર મેચ પહેલા અમદાવાદ પહોંચી ગયો હતો અને તેણે નેટ્સમાં પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી છે. આવી સ્થિતિમાં એવી આશા રાખવામાં આવે છે ભારતીય ટીમનો આ સ્ટાર ઓપનર પાકિસ્તાન સામે રમાનાર મેચમાં ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં જોવા મળશે.
ભારતે અમદાવાદમાં છેલ્લી 5 મેચમાંથી 4માં જીત મેળવી છે
ભારતે અમદાવાદમાં રમાયેલી પોતાની અંતિમ 5 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી છે. ફેબ્રુઆરી 2022માં ભારતે આ મેદાન પર રમાયેલી પોતાની અંતિમ વન ડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 96 રને હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 265 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 169 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.