World Cup 2023 : ભારત-પાકિસ્તાન મેચ માટે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, વંદે ભારત એક્સપ્રેસ પણ સામેલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાનાર છે
Image:File Photi |
IND vs PAK : ODI World Cup 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થઇ હતી. ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી કારમી હાર આપી છે, પરંતુ ક્રિકેટ ચાહકો જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે મેચ 14 ઓક્ટોબરના રોજ રમાવવાની છે. ભારતીય ક્રિકેટ ફેન્સ ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર મેચની રાહ જોઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે ભારતીય રેલ્વેએ પણ ક્રિકેટ પ્રત્યેના જુસ્સાનું ધ્યાન રાખ્યું છે અને ગુજરાત(Indian Railways Decided To Run 2 Special Trains)માં અમદાવાદ માટે બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.
મુંબઈથી અમદાવાદ વચ્ચે બે ટ્રેન દોડશે
આગામી શનિવારના રોજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ માટે મુંબઈથી અમદાવાદ વચ્ચે બે ટ્રેન દોડશે. ખાસ વાત તો એ છે કે આમાં સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ પણ સામેલ હશે. ઈતિહાસમાં પ્રથમ વખત પશ્ચિમ રેલ્વેએ કોઈ ખેલના આયોજન માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જો કે ટ્રેનના સમય અને સ્ટોપેજ અંગેનો અંતિમ નિર્ણય રેલ્વે દ્વારા લેવાનો બાકી છે. આ ટ્રેન સુરત, વડોદરા, આણંદ અને ભરૂચને કવર કરશે તેવી શક્યતાઓ છે.
મેચના દિવસે જ મુંબઈથી સવારે રવાના થશે વંદે ભારત એક્સપ્રેસ
મળેલા અહેવાલો મુજબ એસી ટ્રેન મુંબઈથી 13મી ઓક્ટોબરે રાત્રે લગભગ 10:00 વાગ્યે રવાના થશે અને સવારે 6:00 વાગ્યાની આસપાસ ટ્રેન અમદાવાદ પહોંચશે. વંદે ભારત એક્સપ્રેસને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે મેચના દિવસે જ ટ્રેન મુંબઈથી સવારે રવાના થશે. મોટેરામાં બપોરે 2 વાગ્યે મેચ શરૂ થશે. ODI World Cup 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પહેલી ટક્કર હશે.