હાર્દિક પંડ્યાએ લીડર બનવું હોય તો આટલું તો કરવું જ પડશે: માંજરેકરની સલાહ
Sanjay Manjrekar on Hardik Pandya : એક સમયે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ભવિષ્યના કૅપ્ટન તરીકે જોવામાં આવતો હતો. પંડ્યા T20I મેચોમાં ભારત માટે ઘણી વખત કૅપ્ટનશીપ કરી ચૂક્યો છે. પરંતુ મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના આવ્યા પછી હાર્દિક લીડરશીપના રોલમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે. ત્યારબાદ સૂર્યકુમાર યાદવને T20I ફોર્મેટમાં ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો અને બીજી તરફ હાર્દિક પંડ્યા પાસેથી કૅપ્ટનશીપ લઈ લેવામાં આવી હતી. હવે આ અંગે પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે મોટું નિવેદન આપ્યું છે.
શું કહ્યું સંજય માંજરેકરે ?
હાર્દિક પંડ્યાને લઈને સંજય માંજરેકરે જણાવ્યું હતું કે, 'ભારતીય ક્રિકેટ ટીમમાં હવે ઘણો ફેરફાર આવી ચૂક્યો છે. નવું ટીમ મેનેજમેન્ટ આવવાને લીધે પણ આ નવો ફેરફાર કરવામાં આવ્યો છે. હાર્દિકે સતત ક્રિકેટ રમવાની પોતાની ઇચ્છાશક્તિ દેખાડવી પડશે. તે ક્યારેક જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમે છે. પરંતુ જો તે સતત ક્રિકેટ રમવાનું શરુ કરી દેશે તો લીડરશીપના રોલ માટે તેની દાવેદારી મજબૂત થશે.'
આ પણ વાંચો : વિનોદ કાંબલીને છૂટાછેડા આપવાની હતી પત્ની એન્ડ્રીયા, પછી આ કારણે લીધો યુટર્ન
હાર્દિકે પોતાની ફિટનેસ પર કામ કરવું જરૂરી
વધુમાં સંજયે કહ્યું હતું કે, 'ICC ટુર્નામેન્ટમાં હાર્દિક પંડ્યાએ હંમેશા સારું પ્રદર્શન કર્યું છે. ઘણાં લોકોને યાદ નહીં હોય કે વર્ષ 2019ના વનડે વર્લ્ડકપ દરમિયાન હાર્દિક તે પીચ માટે સર્વશ્રેષ્ઠ બોલર હતો. વનડે ક્રિકેટમાં તમારે ઘણું દોડવું પડે છે. T20I મેચોમાં અલગ પ્રકારનું પ્રેશર હોય છે. પરંતુ વનડે ક્રિકેટમાં શારીરિક ક્ષમતા અને ફિટનેસની વધુ જરૂર હોય છે. તમારે 7થી 10 ઓવર બોલિંગ કરવાની હોય છે. ફિલ્ડીંગ પછી પાંચમાં કે સાતમાં સ્થાન પર બેટિંગ પણ કરવી પડે છે. જેના માટે ફિઝિકલ ફિટનેસ ખૂબ જરૂરી છે.'