'અમારી પાસે ટિકિટ હોય તો પણ IND-PAKની મેચ જોવા ન જઈએ', કોલેજના વિદ્યાર્થીઓએ મેચ અંગે કરી જબરી વાત
સોશિયલ મીડિયા પર નિવૃત્ત મેજર ગૌરવ આર્યાનો એક વીડિયો થયો હતો વાયરલ
વાયરલ વીડિયો જોઈને શહેરની વિવિધ કોલેજના સ્ટુડન્ટ્સે આપી પ્રતિક્રિયા
આઇસીસી વર્લ્ડકપ (ICC World Cup 2023)ની શરૂઆત થઇ ચૂકી છે અને આગામી 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન(India vs Pakistan)ની હાઇવોલ્ટેજ મેચ થશે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર નિવૃત્ત મેજર ગૌરવ આર્યાનો એક વીડિયો વાયરલ (Video Viral) થયો છે. આ વાયરલ વીડિયો જોઈને શહેરની વિવિધ કોલેજના સ્ટુડન્ટ્સે રાષ્ટ્ર ભાવના અને રાષ્ટ્ર સન્માનની ખુમારી દર્શાવી હતી...
'ક્રિકેટ મેચ એકબીજાના પ્રોફિટ માટે જ રમાય છે પણ શાંતિ માટે નહીં'
ગુજરાત આર્ટસ કોમર્સ કોલેજના સ્ટુડન્ટ્સ(Gujarat Arts Commerce College)નું કહેવું છે કે, પાકિસ્તાન સાથે આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલો દેશ છે. આપણા ભારત દેશે ઘણાં પ્રયત્નો કર્યા પછી પણ પાકિસ્તાન સાથે ભાઇચારો સ્થપાતો નથી તો પછી તેની સાથે મેચ રમવું કેટલું યોગ્ય ગણાય? ક્રિકેટ મેચ એકબીજાના પ્રોફિટ માટે જ રમવામાં આવે છે પણ શાંતિ માટે નહીં. શાંતિ હોય તો દરેક દેશ પ્રગતિ કરી શકે છે અને તેનાથી ઘણા લોકોને ફાયદો થઇ શકે છે. ભારતની મેચ જોવી ગમે છે પણ અમારી પાસે ટિકિટ નથી એટલે અમે મેચ જોવા જવાના નથી. આપણા દેશના જવાનો આપણી સુરક્ષા કવચ છે ત્યારે તેમના માટે હરહંમેશ ગર્વ હોવો જોઇએ.
'રમતથી ખેલદિલી વધે છે પરંતુ અમે ભારત-પાક. મેચ જોવા ન જઈએ'
એચ.કે.આર્ટ્સ કોલેજના સ્ટુડન્ટ્સ(HK Arts College)નું કહેવું છે કે, ક્રિકેટ કે પછી બીજી કોઇ રમત ખેલાડીઓ વચ્ચે ખેલદિલીની ભાવના વધે તે માટે જરૂરી છે પણ તેનાથી વ્યકિતની માનસિકતામાં પણ બદલાવ આવે તે જરૂરી છે. અમે ટિકિટ હોય તો પણ ભારત-પાક. મેચ જોવા ન જઈએ. પાકિસ્તાન દ્વારા અવારનવાર આતંકી પ્રવૃત્તિ થાય છે અને તેનાથી આપણા દેશના જવાનોને શહીદ થઇ રહ્યા છે. શહીદ પરિવાર માટે જેટલું કાર્ય કરીએ તેટલું ઓછું છે. મેચ બે દેશને જોડવાનું કામ કરે તો બન્ને દેશ માટે સારી વાત છે. દરેક દેશના યુવાનો તેનું ભવિષ્ય છે ત્યારે તેઓને દેશભક્તિનો યોગ્ય માર્ગ કયો છે તેનું જ્ઞાન આપવું જોઇએ.
'ગૌરવ આર્યાના વીડિયો સાથે સહમત છીએ'
એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના સ્ટુડન્સ(LD Engineering College)નું કહેવું છે કે, આતંકવાદને સહારો આપનાર પાકિસ્તાન અને આપણા દેશ વચ્ચે સારા સંબંધો બનાવવા માટે મેચ જરૂરી છે. રમતને રમત રીતે જોવી જોઇએ તેમાં રાજકારણ ન બને તે જોવું જોઇએ. આતંકવાદને લીધે ઘણાં નિર્દોષ લોકો મૃત્યુ પામે છે ત્યારે પાકિસ્તાનને આતંકવાદીઓને પકડીને કડક સજા કરવી જોઇએ. મનુષ્ય તરીકે માનવકલ્યાણ કરીને જીવનને સુખમય બનાવવું જોઇએ. બે દેશો એકબીજાના વિરોધી બનવાને બદલે સાથે જે તે પ્રશ્રોનું સોલ્યુશન કરવા પર ભાર મુકવો જોઇએ. ગૌરવ આર્યાના વીડિયો સાથે અમે સહમત છીએ અને અમારી પાસે ટિકિટ હોય તો પણ ભારત-પાક. મેચ જોવા ન જઈએ.
'ક્રિકેટ પ્રેમી છીએ તેથી મેચની ટિકિટ મળે તો ચોક્કસ જઈએ'
જે.જી.કોલેજ ઓફ કોમર્સના સ્ટુડન્સ(JG College of Commerce)નું કહેવું છે કે, નિવૃત્ત મેજર ગૌરવ આર્યાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો સાથે અમે સહમત છીએ. ક્રિકેટ મેચથી ખેલાડીઓ વચ્ચે સંબંધો સુધરે છે પણ બે દેશના સંબંધો સુધરતા નથી. દેશની સુરક્ષા કરતા જવાનોની સેવાથી આપણે શાંતિમય જીવન જીવી રહ્યા છીએ તેમનું કાયમી ઋણ રહેલું છે. ભારત સાથે પાકિસ્તાન મેચ રમ્યા પછી પીઠ પાછળ ઘા કરે છે જે દુઃખ દાયક છે. સરહદ પર કાયમી શાંતિ સ્થપાય તો બે દેશ ઘણી મેચ રમે તે આયોજન અમને સ્વીકાર્ય છે. અમે ક્રિકેટ પ્રેમી છીએ એટલે જો મેચની ટિકિટ અમારી પાસે હોય તો અમે ચોક્કસ મેચ જોવા જઈએ.
'બંને દેશોએ નવી સમજૂતી કરી શાંતિ સ્થાપવી જોઇએ'
આર.જે.ટિબ્રેવાલ કોલેજના સ્ટુડન્સ(RJ Tibrewal College)નું કહેવું છે કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને અમે જોયો અને ગૌરવ આર્યાની વાતથી સહમત છીએ. અમે ભારત-પાક. મેચ ન જોઈએ. પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિને પ્રમોટ કરી રહ્યું છે જેનાથી ભારતને અનેક ઘણું નુકસાન થયું છે. અમે માનીએ છીએ કે, ભારત-પાકિસ્તાન વચ્ચેની જે મુશ્કેલીઓ છે તેની નવી સમજૂતી કરીને બન્ને દેશો વચ્ચે શાંતિનું વાતાવરણ બનાવવું જોઇએ. પાકિસ્તાન આર્થિક ફાયદાને બદલે આતંકી પ્રવૃત્તિને આગળ કરે છે જેનાથી વિશ્વમાં તેની ખોટી છાપ ઊભી થઇ છે.