ભારત સામે ભૂંડી હાર બાદ બાબર આઝમને સુનિલ ગાવસ્કરે ફોર્મમાં પાછા ફરવા આપ્યો ગુરુમંત્ર
Sunil Gavaskar on Babar Azam: પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન બાબર આઝમે છેલ્લી ઓડીઆઈ સદી ઓગસ્ટ 2023માં નેપાળ સામે ફટકારી હતી. આ પછી, તેણે 23 ઇનિંગ્સમાં 7 ફિફ્ટી ફટકારી, પરંતુ તેની ચપળતા પહેલા કરતા ઓછી હતી. તેનું અલગ-અલગ ફોર્મેટમાં અલગ-અલગ પ્રદર્શન જોવા મળ્યું છે. તેમજ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમતી વખતે, બાબર ફિફ્ટી ફટકારતો જોવા મળ્યો હતો, પરંતુ તેની ખૂબ જ ધીમી બેટિંગના કારણે ખૂબ જ ટીકા થઇ રહી છે. એવામાં હવે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે બાબરને ખાસ ગુરુમંત્ર આપ્યો છે.
બાબર આઝમનું ફોર્મ અને રનરેટ ટીકાકારોના નિશાના પર
વાસ્તવમાં, પાકિસ્તાનને 1996 પછી પ્રથમ વખત ઘરઆંગણે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાનો મોકો મળ્યો, જ્યાં ન્યૂઝીલેન્ડે તેને પહેલી જ મેચમાં 60 રનથી હરાવ્યું. આ પછી, ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું અને રિઝવાનની સેના આ રીતે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. જેના કારણે પાકિસ્તાની ખેલાડીઓની ટીકા થઇ રહી છે.
ખાસ કરીને બાબર આઝમનું ફોર્મ અને તેનો રનરેટ આ સમયે ટીકાકારોના નિશાના પર છે. આ દરમિયાન ભારતીય દિગ્ગજ સુનિલ ગાવસ્કરે તેમની મદદ માટે અવાજ ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો: 'ક્રિકેટ જ બરબાદ કરી નાખી..' જેલમાં બેઠા ઈમરાન ખાન પણ પાકિસ્તાનની હારથી હતાશ
સુનિલ ગાવસ્કરે બાબર આઝમને આપ્યો ગુરુમંત્ર
ગાવસ્કરે પોતાની યુટ્યુબ ચેનલ પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલી સાથે વાત કરતા બાબરને સૂચન આપ્યું હતું અને કહ્યું હતું કે, 'બાબરે ODI ક્રિકેટમાં ઓપનિંગ ન કરવું જોઈએ. તેના બદલે તેણે ત્રીજા નંબર પર આવવું જોઈએ. તેમજ બાબર આઝમે ક્રિઝ પર ઊભા રહેવાની રીત બદલવી જોઈએ. તેઓએ તેમના પગ વચ્ચેની પહોળાઈ ઘટાડવી જોઈએ. આનાથી સંતુલન સુધરશે અને બોલને જોવાનું સરળ બનશે.'
વધુમાં બાસિતે કહ્યું કે, 'બાબરે અત્યાર સુધી ટ્રાઈ સીરિઝમાં ઓપનિંગ કર્યું છે. તો શું તમને લાગે છે કે બાબર માટે ઓપનિંગમાં આવવું યોગ્ય નિર્ણય છે?' આ સવાલના જવાબમાં ગાવસ્કરે કહ્યું હતું કે, 'T20માં તે બિલકુલ યોગ્ય છે. કારણ કે તમારા બેસ્ટ બેટરને જેટલા વધુ બોલ મળે, તે તમારી ટીમ માટે વધુ ફાયદાકારક રહેશે.'