ફિલ્મ જોતો તો રાતે અને રોહિત ભાઈનો કોલ આવ્યો...', ઈંગ્લેન્ડ સામે તોફાની ઈનિંગ બાદ ઐય્યરનો ખુલાસો
IND Vs ENG, Shreyas Iyer : ભારતીય ક્રિકેટ ટીમે નાગપુર ખાતે રમાયેલી પહેલી વનડે મેચમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવી દીધું હતું. આ મેચ જીતીને ભારતે 3 મેચોની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શુભમન ગિલ મેચનો હીરો રહ્યો હતો. ગિલે 96 બોલમાં 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય શ્રેયસ અય્યરે T20 સ્ટાઈલમાં બેટિંગ કરી હતી.
શ્રેયસ અય્યરની શાનદાર ઇનિંગ
શ્રેયસ અય્યરે 163.89ની સ્ટ્રાઈક રેટથી 36 બોલમાં 59 રન બનાવ્યા હતા. જેમાં તેણે નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ઘૂંટણની ઈજાને કારણે વિરાટ કોહલી આ મેચ રમી શક્યો ન હતો. આ મેચમાં હર્ષિત રાણા અને યશસ્વી જયસ્વાલે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. શ્રેયસ અય્યરે પહેલી વનડેની પ્લેયિંગ ઈલેવનનો ભાગ નહોતો. કોહલી ઈજાગ્રસ્ત થયા બાદ તેને છેલ્લા સમયમાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
શું કહ્યું શ્રેયસ અય્યરે?
નાગપુર વનડે મેચને લઈને શ્રેયસ અય્યરે જણાવ્યું હતું કે, 'હું રાતે ફિલ્મ જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આજે હું આરામ કરીશ. ત્યારે જ રોહિત શર્માનો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે, તારે રમવા માટે તૈયાર રહેવાનું છે. કારણ કે વિરાટની તબિયત સારી નથી. ત્યારબાદ હું ફિલ્મને અધૂરી મૂકીને સૂઈ ગયો હતો.' જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શરૂઆતમાં પ્લેયિંગ ઈલેવનમાં તારું નામ કેમ નહોતું? તેનો જવાબ આપતા તેણે કહ્યું કે, 'હું માત્ર આ જીતનો આનંદ માણવા માંગું છું.'
ભારતે મેળવી શાનદાર જીત
જો મેચની વાત કરીએ તો, ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 47.4 ઓવરમાં 248 રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી જૈકબ અને બટલરે અડધી સદી ફટકારી હતી. હર્ષિત રાણા અને રવીન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતીય ટીમે 38.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી શુભમન ગિલે 87 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલે 47 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી.