World Cup 2023 : સુનિલ ગાવસ્કરે સેમિફાઈનલ મેચમાં પિચ બદલવાની વાત કરનારાઓની ઝાટકણી કાઢી, કહ્યું- 'તે બધા મૂર્ખ લોકો...'
ભારતે ન્યુઝીલેન્ડને પ્રથમ સેમિફાઈનલમાં 70 રનથી હરાવ્યું હતું
બંને ટીમોએ મળીને વાનખેડેની પિચ પર 700થી વધુ રન બનાવ્યા હતા
World Cup 2023 IND vs NZ : ભારત ODI World Cup 2023ની પ્રથમ સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઈનલમાં પહોંચી ગયું છે. આ મેચ પહેલા સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો પિચ બદલવાની વાત કરી રહ્યા હતા. કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે વાનખેડેની પિચને સ્પિન-ફ્રેન્ડલી બનાવી છે, જેથી ભારતીય સ્પિનરોને ધીમી પિચ પર મદદ મળશે અને ભારતીય ટીમ જીતશે. જો કે આવું કંઈ ન થયું. વાનખેડે સ્ટેડિયમની પિચ એકદમ સપાટ હતી, જેના પર બંને ટીમોએ મળીને 700થી વધુ રન બનાવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર મેચમાં કુલ 14 વિકેટ પડી હતી, જેમાંથી સ્પિનરને માત્ર એક જ વિકેટ મળી હતી. જયારે બાકીની 13 વિકેટ ફાસ્ટ બોલરોએ ઝડપી હતી.
ભારતીય ક્રિકેટ પર આરોપ લગાવવાનું બંધ કરો - સુનીલ ગાવસ્કર
મેચ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે તે બધા લોકો(Sunil Gavaskar Gives Reply Who Talks About Changing Pitch At Wankhede)ની ઝાટકણી કાઢી હતી જેઓ પિચ બદલવાની ખોટી અફવા ફેલાવી રહ્યા હતા. ગાવસ્કરે કહ્યું, 'તે બધા મૂર્ખ લોકો જે પિચ બદલવાની વાત કરી રહ્યા હતા, હવે આવી અફવાઓ ફેલાવવાનું બંધ કરો. ભારતીય ક્રિકેટ પર આરોપ લગાવવાનું બંધ કરો. કેટલાક લોકોએ સોશ્યલ મીડિયા દ્વારા લોકોનું ધ્યાન ખેંચવા માટે આવી ખોટી અફવાઓ ફેલાવી છે. આ બધુ બકવાસ છે. પિચ એક જ હતી, અને જો તે બદલાઈ ગઈ હોત તો પણ બંને ટીમો માટે ટોસ પહેલા સમાન જ હોત. બંને ઇનિંગ વચ્ચેની પિચ પર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને ટોસ પછી પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.'
ગાવસ્કરે પિચ બદલવાની વાત કરનારા લોકોની કરી નિંદા
ગાવસ્કરે પિચ બદલવાની વાત કરનારા લોકોની નિંદા કરી અને કહ્યું, 'એક સારી ટીમ કોઈપણ પિચ પર રમે છે અને જીતે છે, અને જો તમે સારી ટીમ છો, તો તમે તે પિચ પર રમો અને જીતો. ભારતે તે જ કરીને બતાવ્યું છે. તેથી પિચો વિશે કંઈપણ બકવાસ કરવાનું બંધ કરો. આ લોકો પહેલાથી જ અમદાવાદ વિશે વાત કરવા લાગ્યા છે, જો કે બીજી સેમિફાઈનલ પણ હજી થઈ નથી, અને તેઓ અમદાવાદની પિચ બદલવાની વાત કરી રહ્યા છે, નોનસેન્સ.'