વિરાટ, રોહિત કોઈ રોબોટ નથી, દર વખતે રન બનાવે તે જરૂરી નથી, ઈંગ્લેન્ડનો દિગ્ગજ વહારે આવ્યો
Kevin Pietersen on Virat Kohli & Rohit Sharma : ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ભારતના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેનું માનવું છે કે, તે કોઈ 'રોબોટ' નથી અને આપણે એ ન ભૂલવું જોઈએ કે, તેઓએ પોતાના સારા દિવસોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી બઘાને ખૂશ કર્યા છે. હાલમાં કોહલી અને રોહિત બંને ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતને 1-3થી મળેલી હાર બાદ બંને બેટરોને નિવૃત્તિ લઇ લેવાની માંગ ઉઠી હતી.
શું કહ્યું કેવિન પીટરસને?
પીટરસને જણાવ્યું હતું કે, 'જે ખેલાડીએ અટલા બધા રન બનાવ્યા હોય તેને તમે કઈ રીતે કહી શકો કે, તમે સંન્યાસ લઇ લો? હા, આ અંગે ચર્ચા થઇ શકે છે, પરંતુ હું સમજુ છું કે, તેઓ આનાથી વધારે સન્માનના હકદાર છે. મારી કારકિર્દી દરમિયાન પણ મેં અવા જ પડકારોનો સામનો કર્યો છે. રોહિત અને વિરાટ 'રોબોટ' નથી. એવું તો ન બની શકે કે, તેઓ સતત સદી જ ફટકાર્યા જ કરે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર તેમના ખરાબ પ્રદર્શનને લીધે તે શું ખરાબ ખેલાડીઓ બની જાય છે. ના, બિલકુલ નહીં.'
ભારતનું ઇંગ્લેન્ડના ઘરેલું ક્રિકેટમાં રોકાણ
આ સિવાય પીટરસને ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL) ના ટીમ માલિકો દ્વારા ઇંગ્લેન્ડમાં ઘરેલું ક્રિકેટમાં કરવામાં આવેલા રોકાણનું સ્વાગત કરતા તેણે ઇંગ્લેન્ડ અને વર્લ્ડ ક્રિકેટ માટે આ કરારને અદ્ભુત ગણાવ્યો હતો. પીટરસને કહ્યું હતું કે, 'ભારત દુનિયાભરમાં ક્રિકેટનું સંચાલન કરી રહ્યું છે. જો તમે આવું નથી વિચારી રહ્યા તો તમે મૂર્ખ છો. આની વિરુદ્ધ દલીલ કરનાર કોઈપણ વ્યક્તિ સ્પષ્ટ રીતે મૂંઝવણમાં છે. જો તમારે જોવું હોય કે, ભારત વર્લ્ડ ક્રિકેટમાં શું કરી રહ્યું છે. તો છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઇંગ્લેન્ડ ક્રિકેટમાં જેટલી રકમ નાખવામાં આવી છે તે વર્લ્ડ ક્રિકેટ માટે ખૂબ જ આશ્ચર્યજનક છે.'
અહીં તમને જણાવી દઈએ કે, 'ધ હન્ડ્રેડ' ટુર્નામેન્ટમાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ઓવલ ઇન્વિન્સીબલ્સમાં અને લખનઉ સુપરજાયન્ટ્સે માન્ચેસ્ટર ઓરીજ્ન્લ્સ ફ્રેન્ચાઇઝીમાં 49 ટકાનું રોકાણ કર્યું છે. લખનઉ આ ફ્રેન્ચાઇઝીનું સંચાલન લેન્કેન્શાયર સાથે મળીને કરશે.