વધતા જતા પ્રદૂષણના કારણે ઈંગ્લેન્ડના ખેલાડીઓએ ઈન્હેલરનો સહારો લેવો પડ્યો
નવી દિલ્હી,તા. 3 નવેમ્બર 2023, શુક્રવાર
ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન રમાશે. ઈંગ્લેન્ડે આ વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે અને તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. આ દરમિયાન, ઇંગ્લેન્ડના ખેલાડીઓ તેમના નિરાશાજનક વિશ્વ કપ અભિયાન દરમિયાન ભારતના મુખ્ય શહેરોમાં પ્રદૂષણના ઉચ્ચ સ્તરનો સામનો કરવા માટે 'ઇન્હેલર્સ'નો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.
એક અહેવાલ મુજબ ઈંગ્લેન્ડના કેટલાક ક્રિકેટરોને ઈન્હેલર લેવાની ફરજ પડી હતી. ઇન્હેલરનો ઉપયોગ સામાન્ય રીતે અસ્થમાથી પીડિત લોકો દ્વારા કરવામાં આવે છે.
ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ બેંગલુરુમાં શ્રીલંકા સામેની મેચ પહેલા તાલીમ દરમિયાન ઇન્હેલરનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. દિલ્હીની હવાની ગુણવત્તા ગુરુવારે 400ના આંકને વટાવીને 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગઈ હતી.
મુંબઈમાં પ્રદૂષણ પણ મોટી ચિંતાનું કારણ બન્યું છે અને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ગુરુવારે શ્રીલંકા સામેની મેચ પહેલા આ મુદ્દે વાત કરી હતી.
રોહિતે પણ ચિંતા વ્યક્ત કરી
રોહિતે બુધવારે કહ્યું, “એક આદર્શ વિશ્વમાં તમે આ પ્રકારની પરિસ્થિતિ નથી ઈચ્છતા, પરંતુ મને ખાતરી છે કે, સંબંધિત લોકો જરૂરી પગલાં લઈ રહ્યા છે. આ એક આદર્શ પરિસ્થિતિ નથી, દરેક વ્યક્તિ આ જાણે છે. "તમારા બાળકો, મારા બાળકો, આપણી ભાવિ પેઢીઓને જોતા, તે સ્પષ્ટપણે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, તે લોકોને ડર વગર જીવવાની તક મળે."
તેંણે કહ્યું કે, “હા, જ્યારે પણ મને ક્રિકેટની બહાર વાત કરવાની તક મળી છે, જો આપણે ક્રિકેટની ચર્ચા નથી કરતા, તો હું હંમેશા તેના વિશે વાત કરું છું. તમે જાણો છો કે આપણે આપણી ભાવિ પેઢીઓનું ધ્યાન રાખવાનું છે.