ગિલની સદી પૂર્ણ થાય તે માટે કે એલ રાહુલે ટીમને નુકસાન પહોંચાડ્યું? ગાવસ્કર ભડક્યા
Sunil Gavaskar on KL Rahul : નાગપુર ખાતે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી પહેલી વનડે મેચમાં કૅપ્ટન રોહિત શર્મા સિવાય કે એલ રાહુલ પણ બેટથી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. રોહિત માત્ર બે રન કરીને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ કેએલ રાહુલ પણ બે રન કરીને પવેલિયન ભેગો થઈ ગયો હતો. આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે રાહુલની બેટિંગ સ્ટાઇલ પર ભડકી ગયા હતા અને તેમણે આ ખેલાડીની આકરી ટીકા કરી હતી.
શું હતો સમગ્ર વિવાદ?
હકીકતમાં 249 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી ભારતીય ટીમની 221ના સ્કોર પર ચોથી વિકેટ પડી હતી. જેમાં અક્ષર પટેલ 52 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ નંબર-6 પર બેટિંગ કરવા કે એલ રાહુલ ક્રીઝ પર આવ્યો હતો. ત્યારે શુભમન ગિલ સદી પૂરી કરવાની નજીક હતો. આ દરમિયાન રાહુલ જયારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ભારતીય ટીમ જીતની નજીક પહોંચતી જોઈએ ગિલને સદી માટે સિંગલ લઈને સ્ટ્રાઇક બદલવાનું વિચાર્યું. રાહુલ પોતાની નેચરલ ગેમથી વિરુદ્ધ ગિલને રમવાની તક આપવાના ચક્કરમાં તેણે આદિલ રાશિદના બોલ પર સોફ્ટ શોટ રમવા જતાં કેચ આઉટ થઈ ગયો હતો.
સુનિલ ગાવસ્કર કે એલ રાહુલ પર ભડક્યા
કે એલ રાહુલ આઉટ થયા બાદ સુનિલ ગાવસ્કર ગુસ્સે થઈ ગયા હતા અને કહ્યું હતું કે, 'કે એલ રાહુલે પોતાની નેચરલ ગેમ રમવી જોઈતી હતી. તે ખાતરી કરવા માંગતો હતો કે, તેના સાથેના ખેલાડી ગિલને સદી કરવાની તક મળે. આ પ્રકારના વર્તન કરનારાઓને ટીમમાં સ્થાન ન આપવું જોઈએ. રાહુલે જે કર્યું તે યોગ્ય ન હતું.' જો કે રાહુલ આઉટ થયા છતાં પણ ગિલ સદી પૂરી કરી શક્યો નહોતો. તે 96 બોલમાં 87 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ભારતીય ટીમે સરળતાથી 38.2 ઓવરમાં 249 રનના ટાર્ગેટને હાંસલ કરી લીધું હતું. હવે ઇંગ્લૅન્ડ સામેની આગામી વનડે મેચ નવમી ફેબ્રુઆરીએ કટકના મેદાન પર રમાશે.