IPL 2025 પછી પણ નિવૃત્તિ નહીં લે મહેન્દ્ર સિંહ ધોની? મુંબઈ સામે પરાજય બાદ આપ્યા સંકેત
Image Source: Twitter
IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 38મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સે જીતની હેટ્રિક લગાવી છે. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સ 8 મેચમાં 4 જીત અને 4 હાર સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ એટલી જ મેચોમાં માત્ર 2 જીત સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. ચેન્નઈ સામેની જીતનો હીરો મુંબઈ ઈન્ડિયન્સનો ઓપનર બેટ્સમેન રોહિત શર્મા હતો, જેણે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેને સૂર્યકુમાર યાદવેનો સાથ મળ્યો. હવે મુંબઈ સામે પરાજય બાદ ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કેટલીક ચોંકાવનારી વાતો કહી, જે સાંભળીને બધા ચોંકી ગયા છે.
આગામી સિઝનમાં મજબૂતીથી કમબેક કરીશું
મેચ બાદ CSKના કેપ્ટને કહ્યું કે, 'અમારી ટીમનું પ્રદર્શન એકદમ એવરેજ હતું. મને ખબર હતી કે મેચના હાફમાં થોડો ડ્યૂ પડશે. જસપ્રીત બુમરાહ વિશ્વનો શ્રેષ્ઠ ડેથ બોલરોમાંથી એક છે અને મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ડેથ બોલિંગ વહેલી શરૂ કરી હતી, જેના કારણે અમે વધુ રન ન બનાવી. આયુષ મ્હાત્રેએ સારી બેટિંગ કરી અને પોતાના શોટ્સ સારી રીતે પસંદ કર્યા. અમને ખબર હતી કે આ પીચ પર રન બનાવવા સરળ નહીં હોય. જો તમે શરૂઆતની ઓવરોમાં વધુ રન આપી દો છો તો તે મુશ્કેલ બની જાય છે.'
CSKના કેપ્ટને કહ્યું કે, 'અમારે એ સમજવાની જરૂર છે કે આપણે સારું ક્રિકેટ રમવાના કારણે જ સફળ થઈએ છીએ. આપણે વધારે ઈમોશનલ ન થવું જોઈએ. અમારે એક સમયે એક મેચ પર ધ્યાન આપવું પડશે અને જો અમને પ્લેઓફમાં સ્થાન મળે તો અમારે આગામી સિઝન માટે અમારી રણનીતિ વિશે વિચારવું પડશે અને આગામી સિઝનમાં મજબૂતીથી કમબેક કરીશું.' આગામી સીઝન વિશે વાત કરીને ધોનીએ સંકેત આપ્યો છે કે તે IPL 2026માં રમી શકે છે.
CSKની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ ખૂબ ઓછી
મેચ પછી ધોનીએ કહ્યું કે, 'અમે એવરેજ સ્કોર કરતા થોડા ઓછા રન બનાવ્યા. મુંબઈએ પોતાની ડેથ બોલિંગ વહેલી શરૂ કરી દીધી હતી. અમારે પણ સ્લોગ શોટ વહેલા રમવા જોઈતા હતા. તેઓ સ્પિન બોલિંગ સારી રીતે રમ્યા અને અમે ક્યારેય લડવા લાયક સ્કોર બનાવ્યો જ નહીં. જો તમે પહેલી છ ઓવરમાં ઘણા રન આપો છો, તો તેનો અર્થ એ નથી કે બોલ બેટ પર સારી રીતે આવી રહ્યો છે.' આ હાર સાથે CSKની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે.