BCCIની મોટી કાર્યવાહી, મેચ ફિક્સિંગ મામલે મુંબઈ T20 લીગના જૂના માલિક પર મૂક્યો પ્રતિબંધ
BCCI : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મુંબઈ T20 લીગ ફ્રેન્ચાઈઝીના જૂના સહ-માલિક ગુરમીત સિંહ ભામરાહ પર ફિક્સિંગ માટે સંપર્ક કરવા બદલ આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે. તે લીગમાં સોબો સુપરસોનિક્સના સહ-માલિક હતો. ભામરાહે ધવલ કુલકર્ણી અને ભાવિન ઠક્કરનો 2019ના ટુર્નામેન્ટના તબક્કા દરમિયાન ફિક્સિંગ માટે સંપર્ક કર્યો હતો. આ કારણોસર BCCI એ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. ધવલ એક જાણીતો ચહેરો છે, જે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે પરંતુ હવે તેણે નિવૃતિ લઈ લીધી છે.
ગુરમીત સિંહ ભામરાહ પણ બંધ થઈ ચૂકેલી GT20 કેનેડા સાથે પણ જોડાયેલો હતો અને હવે તે મુંબઈ T20 લીગનો પણ હિસ્સો નથી. આ લીગને વર્ષ 2019 પછી ફરી શરૂ કરવામાં આવી રહી છે. BCCIના એન્ટી કરપ્શન યુનિટે આગળ ભલામણ કરી હતી કે, કોડની કલમ 4 અને કલમ 5 ની જોગવાઈઓ હેઠળ પ્રતિવાદી સામે યોગ્ય આદેશો પસાર કરી શકાય છે. BCCI ના ACU કોડ પ્રમાણે કલમ 2.1.1 અથવા 2.1.2 અથવા 2.1.3 અથવા 2.1.4 હેઠળ કોઈપણ ગુનામાં ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ આજીવન પ્રતિબંધ રહેશે.
મેચ ફિક્સિંગ માટે ભાવિન ઠક્કરનો સંપર્ક
આદેશની નકલમાં કહેવામાં આવ્યું છે કે સોનુ વાસન નામના વ્યક્તિએ માલિક ગુરમીત સિંહ ભામરાહના કહેવા પર મેચ ફિક્સિંગ માટે ભાવિન ઠક્કરનો સંપર્ક કર્યો હતો. ખેલાડીઓ ભામરાહને 'પાજી' કહેતા હતા. તે પ્રમાણે વાતચીતની ટ્રાન્સક્રિપ્ટ દર્શાવે છે કે સોનુએ પ્રતિવાદી વતી ઠક્કરને પૈસા અને અન્ય લાભો ઓફર કર્યા હતા. પ્રતિવાદી દ્વારા રજૂ કરાયેલા સમગ્ર પ્રસ્તાવને વાજબી ઠેરવતા સોનુએ ભાવિન ઠક્કરને કહ્યું કે આ મામલે તે જે પણ નિર્ણય લેવા માંગે છે તે વાસન પ્રતિવાદીને જણાવશે. કુલકર્ણી સાથેના સંપર્ક અંગે આદેશમાં ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે તેમનું નિવેદન ACU દ્વારા નોંધવામાં આવ્યું હતું.
આવું રહ્યું ધવલ કુલકર્ણીનું કરિયર
ધવલ કુલકર્ણીએ 2014માં ભારતીય ટીમ માટે વનડે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 2016માં ભારત માટે છેલ્લી વનડે મેચ રમી હતી. તેના નામે 12 વનડે મેચોમાં 19 વિકેટ છે.