Fact Check: બાંગ્લાદેશમાં હિન્દુ ક્રિકેટરનું નહીં પરંતુ પૂર્વ કૅપ્ટનનું ઘર સળગાવી દેવાયું

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
bangladeshi cricketer mashrafe mortaza


Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિંસામાં આશરે 400 લોકોએ જીવ ગુમાવ્યા છે. વડાપ્રધાન પદેથી શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડી દીધો છે. તેમણે દેશ છોડ્યો ત્યારથી ઘણા શહેરોમાં લૂંટફાટ અને આગચંપીના બનાવો નોંધાયા છે. ઢાકામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પી. એમ.ના નિવાસસ્થાન સહિત અનેક ઇમારતોમાં તોડફોડ કરી હતી.

આ ઘટના બાદ અનેક તસવીરો અને વીડિયોમાં લોકો વડાપ્રધાનના નિવાસસ્થાનમાંથી સામાન લઈને જતા જોવા મળ્યા હતા. ઘણા પ્રદર્શનકર્તાઓ PM આવાસમાં સોફા પર બેસીને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આ તમામ હિંસા અને વિરોધ વચ્ચે, બાંગ્લાદેશ વિશેના ઘણા ખોટા સમાચાર પણ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યા છે.

ક્રિકેટને લગતા એક સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. એક ફેક ન્યૂઝ કે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશી હિન્દુ ક્રિકેટર લિટન દાસનું ઘર પ્રદર્શનકારીઓએ સળગાવી દીધું હતું. પરંતુ આ સમાચાર પાછળનું સત્ય કંઈક અલગ જ છે.

આ ઘટનામાં બાંગ્લાદેશમાં પ્રદર્શનકર્તાઓએ એક ક્રિકેટરના ઘર પર હુમલો કરીને તેને આગ લગાવી દીધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ક્રિકેટર હિન્દુ ક્રિકેટર લિટન દાસ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ સમાચારની સત્યતા અંગે તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે આ ઘર લિટન દાસનું નથી પરંતુ બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટર મશરફે મોર્તઝાનું છે. તેઓને આ વિરોધમાં એટલા માટે શિકાર બનાવાયા છે કારણ કે મોર્તઝા શેખ હસીનાની પાર્ટી અવામી લીગના સાંસદ છે. બાંગ્લાદેશના યુવાનોમાં રોષ હતો કે મોર્તઝા તેમની સાથે કેમ ઊભા નથી રહ્યા.

બાંગ્લાદેશના અગ્રણી દૈનિક અખબાર 'ધ ડેઇલી સ્ટાર' સાથે સંકળાયેલા તમજીદુલ હકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લિટન દાસ સાથે જોડાયેલા સમાચારને અફવા ગણાવી છે. તેમણે લખ્યું હતું કે, 'શેખ હસીનાએ દેશ છોડ્યા પછી, આર્મી ચીફ જનરલ વકારે રાષ્ટ્રને સંબોધન કર્યું અને કહ્યું કે ટૂંક સમયમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે. આ માટે તેમણે અલગ-અલગ પાર્ટીઓ સાથે વાત કરી છે. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. બ્રિટન અને યુરોપિયન યુનિયને બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં લોકશાહી બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.'


Google NewsGoogle News