રસપ્રદ બની ભારતીય ટીમના નવા ચીફ સિલેક્ટરની રેસ, અગરકર બાદ વધુ 3 દિગ્ગજો જોડાયા
પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ રાષ્ટ્રીય પસંદગીકારના પદ માટે અરજી કરવાની તૈયારી કરી
પૂર્વ ક્રિકેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણન અને સલિલ અંકોલા પણ રેસમાં જોડાય તેવી સંભાવના
નવી દિલ્હી, તા.20 નવેમ્બર 2022, રવિવાર
T20 વર્લ્ડ કપમાં કારમી હાર બાદ BCCIએ ચેતન શર્માની અધ્યક્ષતા હેઠળની પસંદગી સમિતિને હટાવી દીધી હતી. આ સાથે ભારતીય ટીમ માટે નવી પસંદગી સમિતિની શોધ ચાલી રહી છે, ત્યારે ટીમ ઈન્ડિયાના આગામી સિલેક્ટર બનવા માટે ઘણા નામો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ પૂર્વ ક્રિકેટર અજીત અગરકરનું નામ સામે આવ્યું હતું અને હવે આ યાદીમાં કેટલાક નવા નામો પણ જોડાયા છે.
આ 3 પૂર્વ ક્રિકેટરો ચીફ સિલેક્ટરની રેસમાં
પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ પણ કહ્યું કે, તેઓ રાષ્ટ્રીય પસંદગીકારના પદ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે. ઉપરાંત પૂર્વ ક્રિકેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણન અને સલિલ અંકોલા પણ આ રેસમાં જોડાય તેવી સંભાવના છે.
અત્યાર સુધી કયા-કયા નામો સામે આવ્યા
- અજીત અગરકર (26 ટેસ્ટ, 191 વન-ડે)
- નયન મોંગિયા (44 ટેસ્ટ, 140 વન-ડે)
- લક્ષ્મણ શિવરામકૃષ્ણન (09 ટેસ્ટ, 16 વન-ડે)
- સલિલ અંકોલા (01 ટેસ્ટ, 20 વન-ડે)
ચીફ સિલેક્ટર બનવા શું જરૂરી છે ?
- કોઈપણ ખેલાડી જેણે 7 કે તેથી વધુ ટેસ્ટ મેચો રમી હોય
- 30 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હોવી પણ જરૂરી
- 10 ODI અથવા 20 List-A મેચ રમેલી હોવી જોઈએ
- 5 વર્ષ પહેલા ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોય તે
- BCCIની કોઈપણ સમિતિના સભ્ય ન હોવા જોઈએ
- આગામી 5 વર્ષ સુધી સેવા આપવા તૈયાર હોવા જોઈએ
નવી સમિતિની પસંદગી 5 વર્ષ માટે કરાશે
ઉલ્લેખનિય છે કે, BCCI દ્વારા આ સમિતિની પસંદગી પાંચ વર્ષ માટે કરાશે. જે પાંચ સભ્યોની પસંદગી કરાશે તેમાંથી જે પણ અનુભવની દૃષ્ટિએ સિનિયર ખેલાડી હશે તે આપોઆપ ચીફ સિલેક્ટર બની જશે.