World Cup 2023 : BCCIએ લીધો મોટો નિર્ણય, હવાના પ્રદૂષણને કારણે આ શહેરોમાં આતશબાજી પર પ્રતિબંધ
આવતીકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાનાર છે
Image:Pixabay |
World Cup 2023 : મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે મેચ રમાનાર છે. આ મેચ પહેલા BCCIએ ODI World Cup 2023ની મુંબઈ અને દિલ્હીમાં રમાનાર મેચોને લઈને એક ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દિલ્હી અને મુંબઈમાં ODI World Cup 2023ની મેચ દરમિયાન અને મેચ પછી દર્શકો આતશબાજીની મજા નહીં માણી શકે. હવાની બગડતી ગુણવત્તા(BCCI Banned Fireworks Display In Delhi And Mumbai During World Cup 2023)ના કારણે BCCIએ હાલમાં જ આ બંને શહેરોમાં આતશબાજી ન કરવાનો નિર્ણય લીધો છે.
દિલ્હી અને મુંબઈમાં નહીં થાય આતશબાજી
BCCIના સચિવે વાતચીત દરમિયાન આ વાતની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું હતું કે, 'મેં ઔપચારિક રીતે આ મામલો ICC સમક્ષ ઉઠાવ્યો છે અને મુંબઈ અને દિલ્હીમાં આતશબાજી નહીં થાય. આનાથી પ્રદૂષણનું સ્તર વધી શકે છે. બોર્ડ પર્યાવરણીય મુદ્દાઓનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે અને હંમેશા ચાહકો અને હિતધારકોના હિતોને પ્રથમ સ્થાને રાખે છે. BCCI મુંબઈ અને દિલ્હીમાં હવાની ગુણવત્તાને લઈને ચાલી રહેલી ચિંતાઓને સમજે છે.'
બોમ્બે હાઈકોર્ટે માંગ્યો જવાબ
બોમ્બે હાઈકોર્ટે ગઈકાલે શહેરમાં હવાની બગડતી ગુણવત્તા અંગે સંજ્ઞાન લેતા ચિંતા વ્યક્ત કરી હતી. ચીફ જસ્ટીસ ડી.કે ઉપાધ્યાય અને જસ્ટીસ આરિફ ડોક્ટરની બેંચે આ મામલે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસેથી જવાબ માંગ્યો હતો.