સ્ત્રી : ઈશ્વરની દિવ્ય દેણગી
- અક્ષરનો અજવાસ - જયેન્દ્રસિંહ જાદવ
સો એક વર્ષ પહેલા સ્કૂલના એક શિક્ષકે કહ્યું હતું. 'બાળકો, તમે એ ભૂલશો નહીં કે સ્ત્રીઓ શેતાનનો અવતાર હોય છે.'
'ગુરૂજી, તમારી મા પણ એક સ્ત્રી છે તો એને પણ આ વાક્ય લાગુ પડે ?' એક વિદ્યાર્થીએ ઊભા થઈને પૂછ્યું. અને બદલામાં એ વિદ્યાર્થીને શિક્ષક તરફથી માર પડયો.
થોડા દિવસ એ શિક્ષક સ્કૂલમાં ન આવ્યા, જાણવા મળ્યું કે એ ઘર છોડીને ક્યાંક જતા રહ્યા હતા. આ વાતને ૨૦ વર્ષ વીતી ગયા. એ વિદ્યાર્થી એકવાર ટ્રેનમાં કરાંચીથી કલકત્તા જઈ રહ્યો હતો. એની સામે બેઠેલા સંન્યાસી એને તાકી તાકીને જોઈ રહ્યા હતા. સંન્યાસીએ વિદ્યાર્થીને તેની સ્કૂલનું નામ પૂછ્યું. વિદ્યાર્થીએ જવાબ આપ્યો. આ સાંભલીને પેલા સંન્યાસી એના પગમાં પડી ગયા. ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે 'મારે આપને પગે લાગવાનું હોય, આપે મને નહીં...'
'મારા ગુરુને વંદન કરું છું. તને નાનપણમાં મેં માર મારેલો એ શિક્ષક છું. તારા જવાબ પછી મેં સ્ત્રી વિશેનો અભ્યાસ કર્યો અને મને સ્ત્રીનો મહિમા સમજાયો અને હું શક્તિની ઉપાસનામાં ડૂબી ગયો.' એ વિદ્યાર્થી એટલે શાંતિનિતેકનના પ્રોફેસર ગુરુદયાલ મલ્લિક અને સંન્યાસીનું નામ થોડું હોય...!
નારી તો એવી વસંત છે કે જેને કદી પાનખર નથી આવતી. એ સમર્પણનું સરનામું છે 'ને પ્રેમની પોસ્ટ છે. દોધારી તલવાર જેવી આ નારીશક્તિ અને ચેતનાને જો ઉર્ધ્વ ગતિ આપતા ન આવડે તો વાપરનારને જ વાગી જાય. કોઈએ સરસ કહ્યું છે કે 'નારી નમણી નેહમાં, રણમાં શક્તિરૂપ, એ શક્તિના તેજને, નમતા મોટા ભૂપ.' ઋગ્વેદમાં પણ નારીનું રાષ્ટ્રની અધિષ્ઠાત્રી અને બ્રહ્મવાદિની તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે. નારી ઈશ્વરની અમૂલ્ય દેણગી છે. વિવેકાનંદે કહેલું કે ભારતીય ઋચાની રચના કરનાર મોટાભાગે ભારતની સ્ત્રીઓ હતી. સ્ત્રી તમને મારી પણ શકે છે અને તારી પણ શકે છે, તમે કેવા પરિપ્રેક્ષ્યથી મૂલવો છો, એ બહુ અગત્યનું છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'લાપતા લેડીઝ'માં ગુમ થયેલી સ્ત્રીની શોધ થાય છે. વાર્તાની વ્યંજનામાં કહેવાયું છે કે 'આજે સ્ત્રી પોતાની ઓળખ શોધી રહી છે.' નર્મમર્મ સાથે કહેવાયેલી વાતમાં નારીશક્તિ ઉજાગર થાય છે. નારીને નારી તરીકે જોઈએ તો ઘણું છે. ઘણીવાર આપણે એને દેવી બનાવી દઈએ ત્યારે પ્રશ્નો સર્જાતા હોય છે.
આપણે ત્યાં સ્મરણશક્તિનો બહુ મહિમા થયો છે પણ વિસ્મૃતિનું પણ એક ખાસ મહાત્મ્ય છે. અનેક દુઃખદ વાતોને સ્ત્રી સહજ રીતે ભૂલી જાય છે. એ સહનશક્તિનો પર્યાય છે. ઝેર પણ પચાવી લે છે. પણ સ્વાભિમાન પર સવાલ આવે ત્યારે સહન નથી કરતી. તારાઓ આકાશની કવિતા છે તો સ્ત્રીઓ પૃથ્વીની કવિતા છે. દરેકની ભાગ્યરેખા સ્ત્રીના હાથે કંડારાય છે. ઘરમાં સ્ત્રી ન હોય તો ઘર અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે, તો કલ્પના કરો કે સ્ત્રી વગરની દુનિયા કેવી હોઈ શકે ? ઈશ્વરનું સુંદર સર્જન સ્ત્રી છે, એ વાત નિર્વિવાદ અને નક્કર છે. દૈવી ગુણોની ધણી નજીક નારી છે.
આસામના ઠાકુરકાલા ગામના આદિવાસી મહિલા બીરુબાલા રાભા એક માનવાધિકાર કાર્યકર્તા અને સમાજસુધારક છે જે છેલ્લા ૨૦ વર્ષથી આસામમાં જાદૂ-ટોણા અને ચુડેલ હોવાના વહેમનો જે શિકાર બન્યા છે તેવા લોકોને મદદ કરવા અંધશ્રદ્ધા વિરુદ્ધ અભિયાન ચલાવે છે. 'ડાકણ' કહીને જે લોકો મહિલાઓની મારપીટ કરે છે, તેને પ્રતાડિત કરે છે તેવા ઢોંગીઓના અત્યાચાર વિરુદ્ધ ૭૨ વર્ષના બીરુબાલા ગુરુમા બની સત્યના અજવાળે લોકોને વાસ્તવ સમજાવી જાગૃતિ ફેલાવે છે. સંસ્કૃતમાં પણ કહ્યું છે કે,
હ્ય્પ્ત્ઝ્રેં।ેંઊંઝ્વ્ષ્શપ્પ્ત્ઝ્ર્ીં(ઝ્રૈ્લ્દ્વપ્ ળ
ટ્ટઢ્ઢ્ઢક્વ્ઊંફેંલ્।છપ્યઝ્ર।શઊંસજ્ઞફઙ્મઢઝશ્નસઝ્રઊંથ ળળ
અહીં અજ્ઞાાનરૂપી અંધકારથી અંધ થયેલ આંખોને જ્ઞાાન રૂપી અંજન શલાકા વડે ખોલી આપનાર ગુરુને નમસ્કાર કર્યા છે. સામાજિક કાર્યોમાં મહત્વનું યોગદાન આપવા બદલ બીરુબાલાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યું છે.
અર્થશાસ્ત્રમાં નોબેલ મેળવનારાં પ્રથમ મહિલા અર્થશાસ્ત્રી ક્લોડિયા ગોલ્ડિન કહે છે કે 'સ્ત્રી' અને પુરુષ સરખું કામ કરતાં હોવા છતાં છેલ્લા ૨૦૦ વર્ષથી તેમને સમાન વળતર મળતું નથી. આ વિચાર કેન્દ્રમાં રાખીને ગોલ્ડિને વર્ષો સુધી સંશોધનો કર્યા છે. જગતને આપેલી ભગવાનની ભવ્ય ભેટ નારી છે. ઓગણીસમી સદીની સ્ત્રી ઓશિયાળી હતી, વીસમી સદીમાં નારી પોતાની ઓળખ પ્રગટ કરવા મથી રહી છે અને અને એકવીસમી સદીની તેજસ્વિની પોતાનું અજવાળું ફેલાવી રહી છે. ચારિત્ર્ય જેનું ઘરેણું છે અને સમર્પણ જેનો શણગાર છે એ નારીને વિશ્વમહિલાદિને વારંવાર વંદન...
અંતે
જે વ્યક્તિ કોઈની નિંદા નથી કરતો પણ જેને બીજાની નિંદા સાંભળવી ગમે છે તે બંને સરખા જ કહેવાય... ઋગ્વેદ