માણસનું અંતઃકરણ સ્વયં એક 'એલાર્મ'

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
માણસનું અંતઃકરણ સ્વયં એક 'એલાર્મ' 1 - image


- એક જ દે ચિનગારી - શશિન્

- અંતઃકરણ શુદ્ધ હોવાના પાંચ માપદંડો ક્યા?

માણસમાં કુદરતે એને ખોટું કરતાં ચેતવવાની વ્યવસ્થા કરી છે તે છે માણસનું અંતઃકરણ

મા ણસમાં કુદરતે એને ખોટું કરતાં ચેતવવાની વ્યવસ્થા કરી છે તે છે માણસનું અંતઃકરણ, અંતઃકરણ શુધ્ધ હોવાના પાંચ માપદંડો ઃ

૧. કથની અને કરણીમાં એકતા.

૨. હૃદયની પવિત્રતા, આત્મવિશ્વાસ.

૩. સત્ય નિષ્ઠા અને હૃદયની ભીનાશ.

૪. નૌતિક શુદ્ધિ

૫. પ્રામાણિકતા.

અંતઃકરણ શબ્દ અંતર (અંદર અને કરણ એટલે ઇન્દ્રિય એ બન્નેના સુમેળથી બનેલો શબ્દ છે. જેનો અર્થ છે જ્ઞાાન, સુખ-દુઃખ અનુભૂતિ કરતું સહજ સાધન. મન,બુધ્ધિ, ચિત્ત, અહંકાર એ પદોથી ઓળખાતી અંદરની ઇન્દ્રિય, વિચાર, નિશ્ચય, સ્મરણ કે સંશય કરનાર મન, વિવેક, કે નિશ્ચય કરનાર એટલે બુદ્ધિ. મનનું સ્થાન બન્ને ભ્રમરની વચ્ચે, ચિત્ત તેનાથી ઉપર, તેનાથી ઊંચે અહંકારનું સ્થાન, અને સૌથી ઊંચે બુદ્ધિનું સ્થાન માનવામાં આવે છે.

આમ જુદે-જુદે રહેલું. અંતઃકરણ સંશય, નિશ્ચય, અભિમાન અને સ્મરણનું કામ કરે છે. મનનો દેવ ચંદ્રમાં, બુદ્ધિનો દેવ બ્રહ્મા, અહંકારનો દેવ મહાદેવ અને ચિત્તનો દેવતા વિષ્ણુ મનાય છે. (ભગવદ્ ગોમંડલ-૯) નૈતિક બુદ્ધિ, હૃદય, અંતર, મન, કોન્શયન્સ અર્થમાં પણ અંતઃકરણ શબ્દ પ્રયુક્ત થાય છે. અંતઃકરણથી કહેવું એટલે કોઈ પણ પ્રકારના ભેદભાવ કે ખોટા, આશય વગર બોલવું, હૃદયમાંથી આવું બોલવું, અંતઃકરણથી ચાહવું એટલે શુદ્ધ ભાવથી પ્રેમ કરવો.

માણસ માણસાઈ ચૂકે એટલે અંતઃકરણનું એલાર્મ વાગવા માંડે.

દાદાજી નાના પુત્ર સાથે દેવદર્શને જાય છે. માણસો દેવદર્શન કરી ઘંટ વગાડે છે. નાનો પૌત્ર જીદ કરે છે. 'મને તેડીને ઘંટ વગાડાવો.' પૌત્ર ભારે તરવરિયો અને તોફાની છે. દાદાજીની કાયા વાર્ધક્યને લીધે કમજોર થઈ ગયું છે. છતાં પૌત્રને રાજી રાખવા એને તેડીને ઘંટ વગડાવે છે. બાળકની જીદ પૂરી થાય છે. પૂજારી પાસેથી પ્રસાદ લઈ એ બાળક અન્ય બાળકો સાથે રમવા દોડી જાય છે. દાદાજી વિચાર કરે છે. છેલ્લા ૭૫ (પંચોતર) વર્ષમાં દુનિયા કેટલી બધી બદલાઈ ગઈ છે. દાદાજીએ વાંચેલી એક કવિતા તેમને યાદ આવે છે.

'મન રે મત કર તૂ વિશ્વાસ,

જગતી કે બંધન સબ જૂઠે,

અપનોં સે અપને હી રુંઠે

રંગ બદલતી દુનિયા મેં અબ

અબ સાથ છે રહી ઉછ્વાસ મન રે।

મત કરતું વિશ્વાસ.'

વિશ્વમાં આવેલાં પરિવર્તનોની વાત કરતાં કવિ કહે છે- આસમાનમેં છેદ હો ગયે, મૌસમ સબ બદરંગ હો ગયો પ્રદૂષણ કે હો ગયે શિકાર, નભમેં ધૂમકેતું બસ નાચે, ઘરતી કા કરને સંહાર, ઐસી વિષમ સ્થિતિમેં મનવા કા હેકો હોત ઉદાસ, મનરે ! મત કર તું વિશ્વાસ !!

આજે પરિસ્થિતિ વિષમ નહીં. પણ વિષાકત થઈ ગઈ છે. પ્રત્યેક માણસ તનાવ ગ્રસ્ત છે. એનું અંતઃકરણ વ્યથિત છે, માણસ શોધે છે વિશ્વસ્ત વિસામો, પણ એને શાન્તિનું ઠેકાણું જડતું નથી. શંકા અને શ્રધ્ધા તેનો પીછો છોડતી નથી. માણસને શોધવી છે અને માણવી છે અંતઃકરણની ભીનાશ. પણ અંદરનો જવાળામુખી એનું બાષ્પીભવન કરી નાખે છે. ગમે તેમ, પણ માણસ માણસથી સાવ કપાયેલો રહી શકે પણ નહીં. માણસનો માણસ સાથે વણકથ્યો અજાણ્યો, પણ ધરતીના કોઈ અતૂટ બંધનથી બંધાઓનો સંબંધ છે. માણસનું અંતઃકરણ એની શાખ પૂરે છે. કોઈનું દુઃખ જોઈ અરેરાટી ઉપજે છે. કોઈનો વિશ્વાસઘાત જોઈ એના મનમાં વણકથી નફરત પેદા થાય છે. ક્યારેક કોઈ પરાયું પોતીકું બની જાય અને પોતીકું પરાયાની જેમ વર્તશે તેની કશી ગેરન્ટી નથી. માણસનું હૃદય પ્રપંચમુક્ત રહે તો લાગણીનાં ઘોડાપૂર મૂળત ઃ રેલાવે માંડે કારણકે માણસ સ્વભાવે દુષ્ટ નથી એનાં અંગત સામાજિક, આર્થિક અને માનસિક અનુભવો એને ઉશ્કેરાટમાં લાવી ગેરવર્તન કરાવે છે. ઘંટડીની વ્યવસ્થા માત્ર દેવમંદિર પૂરતી નથી. પરમાત્માએ અંતઃકરણમાં પણ ઘંટડીની વ્યવસ્થા રાખી છે. કોઈ ખોટું કે અનુચિત કામ કરી જુઓ, અંતઃકરણની ઘંટડીનો અવાજ તમને સંભળાવા લાગશે. હૃદય ધક્-ધક્ કરશે. માંહ્યલો અનુચિત કરતાં રોકાવાનો સંદેશ આપશે. પણ માણસ 'બડો' ચતુરજીવ. એ ચાલાકીપૂર્વક અંદરની ઘંટડીના અવાજને દાબી દે છે અને મનધાર્યું કે મનોવાંછિત કૃત્ય કરે છે. માણસને અંદરની ઘંટડીની સ્વીચ બંધ કરવાની આદત છે. તે ઘણીવાર મનનો માલિક બને છે અને પોતાના બદઇરાદાને પાર પાડવા મનનો માલિક બની તેની ઉપર શાનસ કરે છે. માણસ પતન મુક્ત રહે

 એ પરમાત્માની ફરમાઈશ છે, અને પતનગામી બને એ પરમાત્માની નારાજગી છે. પણ માણસ પાસે પરમાત્માને છે તરવાની પણ ચાલાકી છે. ક્યારે સજ્જન જેવો દેખાવ કરવો અને મોકો મળે દુર્જન બની જવું એવી ચાલાકી માણસે કેળવી બધી છે. 'એલાર્મ'નું કામ માણસને જગાડવાનું છે, પણ તે કોઈને જાગવાની ફરજ પાડી શક્તું નથી. નહીં જાગવા માટે પ્રતિબદ્ધ માણસને જગાડવાની તાકાત કોઈનામાય નથી. માણસ નઠોર પણ થઈ શકે છે અને કઠોર પણ. માણસને તેનું અંતઃકરણ જગાડી શકતું હોત તો રાવણને સીતાજીના અપહરણની દુષ્ટતા ક્યાંથી સૂઝેત ?

દુશાસનને દ્રૌપદીમાં ચીરહરણ કરવાની કુબુદ્ધિ ક્યાંથી સૂઝત. શ્રીકૃષ્ણ ભગવાનની સલાહ છતાં દુર્યોધન મહાભારતના યુદ્ધ માટે ક્યાંથી તલપાપડ બનત ?

જીવન અલ્પકાલીન છે, એ મંજૂર પણ એની આનંદદાયક ક્ષણોને અલ્પજીવી બનાવી જીવનનું સૌંદર્ય ઝૂંટવી લેવું એવું કોણે કહ્યું ? શુધ્ધ અંતઃકરણને તમારા જીવનનો રખેવાળ બનાવો. એની ઘંટડીનો રણકાર સતત સાંભળવા માંડો. દેવસેવા જેટલી જ મોટી દેશસેવા છે. અંતઃકરણનો અવાજ સાંભળી દેશ પ્રત્યે સમર્પિત થઈ જાઓ એવો અંતરાત્માના આદેશ છે. જીવનની ક્ષણિકતાનાં ગાણાં ન ગવાય, એ માટેની કથાઓ અને પારાયણો ન બેસાડાય. કથા માણસને વ્યથિત કરવા માટે પણ જીવનનો ઉલ્લાસ અને માણસ તરીકેની ખુમારી પ્રગટાવવાનું સાધન છે. સાચી કથા એ પરમાત્માનો અવાજ છે, કથાકારનો નહીં જ નહીં.

મોતીયો ઘડપણમાં આવે એવું નથી. શુદ્ધ દૃષ્ટિની જોવાની કે વસ્તુ પરિસ્થિતિને તટસ્થ ભાવે મૂલવવાની દૃષ્ટિએ ગમે તે ઉમ્મરે માણસે પોતાની દૃષ્ટિ પર લાદેલો મોતીયો છે, ભતૃહરિએ કહ્યું છે તેમ માણસ ભોગો નથી ભોગવતો ભોગો જ એને ભોગવી જાય છે.

આપણું જીવન અનુત્તરિત પ્રશ્નોની તલાશ માત્ર માટે ખપાવી દઈને આનંદની ઇતિશ્રી કરવા માટે નથી માત્ર દાદા બનવા માટે નહીં પણ 'બાળક' બનવા માટે છે. બાળક અંતઃકરણની ઘંટડીની પળોજણમાં પડયા સિવાય અંતરાત્માના અવાજને જ અનુસરે છે. તેથી તે સુખી છે.

ઋષિઓ શ્રદ્ધાવાન હતા. જ્ઞાાનપ્રાપ્તિ માટે પણ એમણે શ્રદ્ધાભર્યા મનથી હૃદયથી વાત કરી હતી એટલે તેઓ પોતાના અંતઃકરણની નજીક હતા. જિજ્ઞાાસાની ક્ષણે તેઓ બાળક બની જતા અને ઉત્તર શોધતી વખતે પ્રૌઢ ઋષિઓ કશી ત્રિશંકાની દશામાં રહ્યા નથી. સ્થિર થવા માટે પલાંઠી વાળીને આસન જમાવવું પડે. અંદરની ઘંટડીનો તત્પરતાપૂર્વક અવાજ સાંભળવો પડે, તદનુસાર ચેતવું પડે. માણસના કાન નહીં હૃદય પણ બહેરુ બની જતું હોય છે. દુનિયાની બધી જ સમસ્યાઓનું આમાં મૂળ છે.


Google NewsGoogle News