ઘરમાં પડેલા નકામા મોબાઈલ આખી દુનિયા માટે ખતરો, દર વર્ષે સતત વધતો આ ખતરનાક કચરો

ઈ-કચરો હાલ દુનિયાની મોટી સમસ્યા બનતી જાય છે

દુનિયામાં માથાદીઠ 8 કિલો ઈ-કચરો કરે છે

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
ઘરમાં પડેલા નકામા મોબાઈલ આખી દુનિયા માટે ખતરો, દર વર્ષે સતત વધતો આ ખતરનાક કચરો 1 - image


E-Waste: હાલ લોકોનું જીવન મોબાઈલ વગર વિચારવું અશક્ય છે. દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરતો હોય. મોબાઇલે લોકો વચ્ચેનું અંતર ઘટાડી દીધું છે. તેમજ લોકોનું કામ પણ સરળ બનાવ્યું છે. તો સામેની બાજુ ઈ-કચરા જેવી સમસ્યા પણ સર્જી છે. 

વર્ષમાં અંદાજે 61.3 લાખ ટન ઈ-કચરો

એક રિપોર્ટ અનુસાર, વિશ્વમાં 1600 કરોડથી વધુ મોબાઈલ ફોન વપરાશમાં લેવામાં આવે છે, જેમાંથી લગભગ એક તૃતીયાંશ એટલે કે 530 કરોડથી વધુ મોબાઈલ ફોન દર વર્ષે કચરામાં ફેંકી દેવામાં આવે છે. ઈન્ટરનેશનલ વેસ્ટ ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ ફોરમ (WEEE)ના રિપોર્ટ અનુસાર, જો આ મોબાઈલને એક બીજાની ઉપર મૂકવામાં આવે તો તેની ઊંચાઈ અંદાજે 50 કિલોમીટર થશે, જે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી 120 ગણી વધારે હશે. આ રિપોર્ટ અનુસાર દર વર્ષે એક વ્યક્તિ 8 કિલો ઈ-કચરો કરે છે, જે એક વર્ષમાં 61.3 લાખ ટન થશે.

લોકો પોતાની પાસે ઈ-કચરો વધુ જમા કરે છે 

આંતરરાષ્ટ્રીય વેપારના આંકડાઓ પર આધારિત WEEE એ એક રિપોર્ટ બનાવી છે જેમાં ઈ-કચરાના કારણે વધારી જતી પર્યાવરણીય સમસ્યાઓ દર્શાવવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર એવું પણ જાણવા મળ્યું કે મોબાઈલ ફોન એવા ઈલેક્ટ્રોનિક કચરોમાંથી એક છે જેને લોકો ઘણીવાર પોતાની પાસે જમા કરે છે એટલે કે જૂના મોબાઈલને ફેંકી દેવાને બદલે અથવા ઈ-વેસ્ટમાં નાખવાને બદલે લોકો તેને સાચવી રાખવાનું પસંદ કરે છે. 

વધતો જતો ઈ-કચરો બને છે મોટી સમસ્યા 

વધતો જતો ઈ-કચરો દુનિયા માટે એક મોટી સમસ્યા છે. આંકડાઓ અનુસાર 2022માં સેલ ફોન, ઇલેક્ટ્રિક ટુથબ્રશ, ટોસ્ટર, કેમેરા જેવી નાની ઈલેક્ટ્રોનિક આઈટમના કચરાનો લગભગ વજન 2.45 ટન હતો. જે ગીઝાના પીરામીડના વજનથી ચાર ગણો વધુ છે. આવી નાની ઈલેક્ટ્રોનિક આઈટમ વિશ્વના કુલ કચરામાંથી લગભગ 8 ટકા હિસ્સો ધરાવે છે. WEEEના અંદાજ મુજબ 2021માં 57 મિલિયન ટનથી વધુ ઈલેક્ટ્રોનિક કચરો પેદા થયો હતો. આ બિનઉપયોગી ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું વજન ચીનમાં આવેલી વિશ્વની સૌથી મોટી દિવાલ કરતા પણ વધુ છે.

2020ના ગ્લોબલ ઈ-વેસ્ટ મોનિટરના રિપોર્ટ અનુસાર, વર્ષ 2019માં લગભગ 54 મિલિયન મેટ્રિક ટન ઈલેક્ટ્રોનિક કચરો પેદા થયો હતો. જો જોવામાં આવે તો 2014થી છેલ્લા 5 વર્ષમાં આ ઈલેક્ટ્રોનિક કચરામાં લગભગ 21 ટકાનો વધારો થયો છે. હવે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 2030 સુધીમાં આ ઈ-વેસ્ટ વધીને 7.4 મેટ્રિક ટન થઈ શકે છે.

ભારતમાં દર વર્ષે થાય છે આટલું ઈ-વેસ્ટ 

ઈ-કચરા બાબતે ભારતની સ્થિતિ જોવામાં આવે તો કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા 2020માં જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો કે 2019-20માં દેશમાં લગભગ 10.1 લાખ તન ઈલેક્ટ્રોનિક કચરો નીકળ્યો હતો. જે 2017-18માં  25,325 ટન થયો હતો. આ ઉપરાંત રિપોર્ટમાં એક એવો ખુલાસો પણ કરવામાં આવ્યો હતો કે તેને રિસાઈકલ કરવો તો દુરની વાત છે પણ તેને ભેગો પણ કરી શકાય તેમ નથી. 

ઈ-કચરાના કારણે સંસાધનોને નુકશાન 

આવી સ્થિતિમાં, આ કચરામાં રહેલી પુનઃપ્રાપ્ત થઈ શકે તેવી કિંમતી ધાતુઓ નકામી બની જાય છે, જેના કારણે સંસાધનોનો પણ બગાડ થાય છે. જો આપણે વર્ષ 2019માં ઈલેક્ટ્રોનિક કચરાને રિસાઈકલિંગ ન કરવાને કારણે થયેલા નુકસાનની વાત કરીએ તો તે અંદાજે 4.3 લાખ કરોડ રૂપિયા છે, જે વિશ્વના ઘણા દેશોની જીડીપી કરતા વધુ છે. ઈ-કચરાનો કેટલોક ભાગ લેન્ડફિલમાં દટાઈ જવાના કારણે લાંબા સમયે ખતરનાક પ્રદૂષણ ફેલાવે છે. ઈ-કચરાના કારણે તાંબુ અને પેલેડિયમ જેવી ધાતુઓનો પણ મોટી માત્રામાં બગાડ થાય છે. આંકડા અનુસાર, 80% ગ્રીનહાઉસ ગેસ મોબાઇલ ફોનના ઉત્પાદનમાં સામેલ માઇનિંગ, રિફાઇનિંગ અને પ્રોસેસિંગ દરમિયાન ઉત્સર્જિત થાય છે.

ભારતમાં ઈ-કચરા બાબતે પડકાર 

આંતરરાષ્ટ્રીય સ્તર પર માત્ર 17% ઈ-કચરો જ ભેગો કરીને રિસાઈકલ કરવો શક્ય છે. ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશમાં, વધુ ઈ-કચરો પેદા કરવો એ ખુબ સામાન્ય વાત છે. પરંતુ તેમાં ઘટાડો કરવો એ એટલું જ મુશ્કેલ કામ છે. 

જોકે, માનવ સંસાધનની અછત, વરિષ્ઠ અધિકારીઓની ઈચ્છાશક્તિનો અભાવ, લોકો ઈ-કચરા વિશે જાગૃત ન હોવા ઉપરાંત સુરક્ષાના અભાવને લગતી સમસ્યાઓ પણ ઈ-કચરાને દૂર કરવામાં અવરોધો તરીકે સામે આવે છે.


Google NewsGoogle News